મનમોહન સિંહ પીએમ બની શકે તો મોદી કેમ નહીં: સીપી ઠાકુર
સીપી ઠાકુરે કહ્યું છે,'' જો ડો. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન બની શકતા હોય તો પછી નરેન્દ્ર મોદી શા માટે વડાપ્રધાન ના બની શકે, મોદી આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર છે અને જો ગુજરાતમાં ફરી વખત ભાજપનો કેસરીયો લહેરાશે તો મોદીની આ દાવેદારી વધારે પ્રબળ થઇ જશે.''
અત્રે એ વાત નોંધનીય છે કે, જેમ-જેમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું કદ અને પ્રતિષ્ઠા વધતી જાય છે તેમ-તેમ તેમની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેને દાવેદારી પણ મજબૂત બનતી જઇ રહી છે, કારણ કે બિહાર ભાજપના પ્રમુખ સીપી ઠાકુરે મોદીને પીએમ પદના દાવેદાર ગણાવ્યા તે પહેલાં રામ જેઠમલાણીએ પણ મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવો તેવો પત્ર ભાજપ પ્રમુખ નિતિન ગડકરીને પાઠવ્યો હતો.
આ બધાની વચ્ચે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મળી રહી છે, જેમાં પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત છે અને વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી કરનારાઓમાંથી કયા નામ પર આખરી મહોર લગાવવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ બેઠક ત્રીજી નવેમ્બર સુધી ચાલવાની છે.