વડોદરાઃ સાંસદ નથી, પણ સંગાથ નહીં છૂટે
દેશના 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું છે અને વારાણસી બેઠક પોતાની પાસે રાખી છે. મોદીએ લોકસભા સ્પીકરના કાર્યાલયે વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું છે, આ સામાચાર વાંચીને સંસ્કારી નગરી વડોદરાને દુઃખ પણ હશે અને સાથે એ વાતની ખુશી પણ હશે કે તેમની બેઠક પરથી વિજેતા થયેલા સાંસદ વડાપ્રધાન બન્યા. મોદીએ જ્યારે દિલ્હી માટે પ્રયાણ કર્યું અને આવજો ગુજરાત કહ્યું ત્યારે જ તેઓ એ સ્પષ્ટ કરી દીધું કે ગુજરાત સાથે સાંસદ તરીકેનો નાતો પણ નહીં રાખે. છતાં આજે દરેક વડોદરાવાસીના મનમાં માત્ર એક જ વાત રળતી હશે કે મોદી સાંસદ નથી તો શું થયું પરંતુ તેમનો સંગાથ અમારાથી ક્યારેય વિખૂટો નહીં પડે.
2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ પહેલા વારાણસી અને પછી વડોદરા એમ બે બેઠકો પરથી લડવાનો નિર્ણય કર્યો હતો. તેઓ આ બન્ને બેઠકો પરથી ભારે સરસાઇ સાથે વિજયી થયા હતા. વિજયી થયા ત્યારથી એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હતો કે મોદી કઇ બેઠક પરથી રાજીનામું આપશે, વારાણસી કે વડોદરા. જોકે એ વાતથી પણ રાજકીય વિશ્લેષકો અને વડોદરાવાસી સુપેરે માહિતગાર હતા કે મોદી વડોદરા બેઠક પરથી જ રાજીનામું આપશે. કારણ કે આમ કરવા પાછળ ઉત્તરપ્રદેશમાં ભાજપને ફરી બેઠું કરવાનો હેતુ છે. મોદી ભલે હવે વડોદરાના સાંસદ નથી પરંતુ વારાણસીના જ સાંસદ રહ્યાં હોય પરંતુ વડોદરા સાથેનો તેમનો સંગાથ હંમેશા રહેશે. જ્યારે તેમણે વડોદરા ખાતે ઉમેદવારી પત્ર ભર્યુ અને વિજય રેલી સંબોધી એ ઘડીએ મોદી વડોદરા પ્રત્યેના પોતાના પ્રેમ અને લાગણીઓ દર્શાવી હતી, તેમજ વડોદરા માટે તેઓ હંમેશા તત્પર રહેશે એ વાત પણ તેમણે પોતાના અંદાજમાં જણાવી દીધી હતી.
જેના કારણે જ્યારે મોદીએ વડોદરાથી ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે જ મોદીનો વિજય રોડશો વડોદરામાં યોજાઇ ગયો હતો. વડોદરાએ પણ મોદી પ્રત્યેના પોતાના પ્રેમને દર્શાવતા અઢળક મતોની લ્હાણી મોદી પર કરી દીધી હતી. વિજય રેલીમાં પણ મોદીએ વડોદરા સાથેનો પોતાનો નાતો અતૂટ હોવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો અને કહ્યું હતું કે તેઓ ગમે ત્યાં હોય પરંતુ વડોદરા માટે કંઇ કરવા માટે તેઓ હંમેશા તત્પર છે. તો બીજી તરફ વડોદરા પણ મોદી ઉક્ત પ્રકારનો જ નિર્ણય લેશે આ વાતથી અજાણ નહોતા છતાં વડોદરાએ મોદી પ્રત્યેની પોતાની લાગણીઓને મતમાં ફેરવી નાંખી હતી.
વડોદરાવાસીઓનો પ્રેમ
નરેન્દ્ર મોદી પ્રત્યે વડોદરાવાસીઓને ખાસ્સો પ્રેમ છે, એક તો વડોદરા નરેન્દ્ર મોદીની કર્મભૂમિ રહી છે અને તેથી જ તેમણે વડોદરાને પોતાનું બીજું ઘર પણ કહ્યું છે. જ્યારે મતદાન કરવાનો સમય આવ્યો ત્યારે વડોદરાએ પણ મોદીને તે પોતાના માને છે તે વાતનો પૂરાવો આપી દીધો હતો. વડોદરામાં નરેન્દ્ર મોદી કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી સામે 570128ની સરસાઇથી જીત્યા હતા. મોદીએ કુલ 845464 મતો મળ્યા હતા. મળેલા મતના આંકડા જ જણાવી દે છેકે વડોદરાને મોદી પ્રત્યે કેટલી હદે પ્રેમ હતો.
વડોદરા આ વાતથી પહેલાથી હતુ અવગત
નરેન્દ્ર મોદીને વડોદરા અને વારાણસીમાંથી જ્યારે કોઇ એક બેઠકની પસંદગી કરવાનો સમય આવશે ત્યારે તેઓ ચોક્કસપણે વડોદરાના બદલે વારાણસીને પ્રાધાન્ય આપશે, એ વાતનો અંદેશો તમામ રાજકીય વિશ્લેષકોની સાથે વડોદરાની જનતાને પણ હતો, તેમ છતાં તેમણે મોદીએ મુકેલા ભરોસા પર ખરા ઉતરીને નરેન્દ્ર મોદીને વિજયી બનાવ્યા હતા એટલું જ નહીં પરંતુ વિજયી પણ એવી રીતે બનાવ્યા કે એક ઇતિહાસ નોંધાઇ ગયો.
મોદીએ આપ્યું છે વચન
16મી મેના રોજ જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા અને ભાજપે દેશભરમાં સ્પષ્ટ બહુમતિ મેળવી ત્યાર બાદ નરેન્દ્ર મોદી પહેલા વડોદરા ગયા હતા. વડોદરાએ તેમને 570128ની સરસાઇથી જીતાડ્યા હતા, જનતાએ જે વિશ્વાસ તેમના પર મુક્યો છે, તેનો આભાર પ્રગટ કરવા તેમણે તેમની વિજય રેલીની પહેલી સભા વડોદરામાં કરી હતી. વડોદરા જઇને તેમણે માત્ર જનતાનો આભાર જ નહોતો માન્યો પરંતુ ત્યાં જઇને તેમણે એ વચન પણ આપ્યું હતું કે જ્યારે પણ વડોદરાને તેમની જરૂર હશે ત્યારે તેઓ વડોદરા માટે ઉપસ્થિત રહેશે.
શા માટે છોડી વડોદરા બેઠક?
વડોદરા બેઠક છોડવા પાછળનું એકમાત્ર કારણ ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિ છે. ગુજરાતમાં ભાજપને કોઇ જ વાંધો નથી. ગુજરાત ભાજપનું ગઢ બની ગયું છે, બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભાજપની સ્થિતિ ઘણી ખરાબ હતી. મોદીએ વારાણસીથી ચૂંટણી લડીને ઉત્તર પ્રદેશમાં ભાજપને ફરી બેઠું કરવાનો પ્રયાસ આદર્યો. તેમણે પોતાના નજીકના અને ભાજપમાં પોતાનું કદ મોટું કરી રહેલા અમિત શાહને મોકલ્યા, અમિત શાહે પણ તેમના વિશ્વાસ પર ખરા ઉતારીને 70 કરતા વધારે બેઠક પર ભાજપને વિજયી બનાવ્યું. આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં જો મોદી વારાણસી બેઠક છોડે તો તેની સીધી અસર પક્ષના દેખાવ પર પડી શકે છે, તેથી તેમણે વારાણસી બેઠક પોતાની પાસે રાખી, જેથી ઉત્તર પ્રદેશમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે તેઓ પોતાનું ટ્રમ્પ કાર્ડ ચલાવીને વારાણસી થકી આખા ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી હવા ઉભી કરી શકે.