મોરારી બાપૂએ પૂર અસરગ્રસ્તોની સહાય માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખ આપ્યા
સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપૂએ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ છે.
નવ નિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારી બાપૂએ જાહેરાત કરી હતી.
સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપૂએ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ છે. પૂજ્ય મોરારીબાપૂ હાલ દાર્જિલિંગમાં રામ કથા માટે ગયેલા છે.
નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતીની જાત માહિતી મેળવવા આ વિસ્તારોની મંગળવારના રોજ કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારી બાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ધુંવાવ ગામ બેટમાં ફેરવાયું હતું. નદીમાં ઘોડા પુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થયા હતા. આ સાથે જામનગરથી રાજકોટ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જે કારણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. આ સાથે વરસાદથી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી હતી. આ સાથે તેમને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે જામનગર જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સૂચનાઓ આપી હતી. જેના પગલે હેલીકોપ્ટર દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.