મોરબીઃ એગ્રીમેન્ટનો થયો ભંગ, પૈસાની લાલચમાં સેંકડોના બલિદાન
મોરબીઃ એગ્રીમેન્ટનો થયો ભંગ, પૈસાની લાલચમાં સેંકડોના બલિદાન
જાણે મોરબી હોનારતનું બીજું નામ બની ગયું છે. લોકો હજી મોરબી મચ્છુ હોનારતને ભુલ્યા નહોતા ત્યાં કેટલાક જીવનના સોદાગરોએ ઓછા સમયમાં વધુ ઝડપે પૈસા કમાવાની લાલચમાં સેંકડો લોકોના જીવ લઈ લીધા. ગતરોજ રવિવારે સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો જેમાં 142થી વધુ લોકોના મૃત્યુ થયાં અને ઘણા હજી લાપતા છે.
ઘટના બનતાંની સાથે જ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી છે, સરકારી તંત્ર દોડતું થઈ ગયું, ખુદ મુખ્યમંત્રી, અને ગૃહમંત્રી સહિતના નેતાગણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. પરંતુ આખરે સવાલ એ આવીને ઉભો થઈ જાય છે કે આ બધાની પાછળ જવાબદારને આખરે સજા મળશે કે કેમ!
ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતા પુલના મેનટેઈનન્સની જવાબદારી રાજકોટના ઓરૈવા ગ્રુપની અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને સોંપવામાં આવી હતી. મોરબી નગરપાલિકા અને ઓરૈવા ગ્રુપ વચ્ચે એક કરાર થયો હતો, જે અંતર્ગત માર્ચ 2022થી 15 વર્ષ માટે ઓરૈવા ગ્રુપની અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને મેન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી.
એગ્રીમેન્ટ મુજબ કંપનીએ પોતાના ખર્ચે 15 વર્ષ સુધી આ પુલનું મેન્ટેનન્સ કરવાનું હતું અને પહેલા મેન્ટેનન્સ બાદ આ પુલને ખુલ્લો મુકવામાં આવનાર હતો. એગ્રીમેન્ટ મુજબ આ મેન્ટેનન્સ માટે 8-12 મહિનાનો સમય લાગી શકે તેમ હતો પણ દિવાળીનો તહેવાર નજીક હોય વધુ પૈસાની લાલચે કંપનીએ સમય પહેલાં જ આ પુલનું મેન્ટેનન્સ કામ માત્ર 6 મહિનામાં જ પતાવી કોઈપણ પ્રકારના સેફ્ટી ચેક કર્યા વિના ઝુલતો પુલ ખુલ્લો મુકી દેવાયો.
એગ્રીમેન્ટ મુજબ પ્રથમ વર્ષે એટલે કે 2022-23માં પ્રવાસી પાસેથી 15 રૂપિયા ટિકિટ, વિદ્યાર્થીઓ પાસેથી 5 અને 12 વર્ષથી નીચેના બાળકો પાસેથી 10 રૂપિયા ટિકિટ લેવાનું નક્કી થયું હતું. જેનો ભંગ કરી આ વર્ષેથી જ નાગરિકો પાસેથી 17 રૂપિયા અને 12 વર્ષથી નીચેના બાળકો પાસેથી 12 રૂપિયા ટિકિટ વસુલવામાં આવી રહી હતી. જે સૂચવે છે ક્યાંકને ક્યાંક વધુ પૈસા કમાવાની લાલચે કંપનીએ એગ્રીમેન્ટની શરતોની અવગણના કરી છે. જેટલી કંપની જવાબદાર છે તેટલું જ મોરબી તંત્રને પણ જવાબદાર ગણી શકીએ, કેમ કે કોન્ટ્રાક્ટમાં એકેય ગાઈડલાઈન્સ આલેખવામાં જ નહોતી આવી, ગાઈડલાઈન્સ વિનાના કોન્ટ્રાક્ટ હોનારત સિવાય બીજું કયું ફળ આપી શકે!
જો કે ચોંકાવનારી વાત એ છે કે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દીધી છે પરંતુ FIRમાં ઓરૈવા ગ્રુપ કે તેના માલિકોના નામનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં નથી.