મોરબી પુલ દૂર્ઘટનાઃ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પુલ પડ્યા પછીના હ્રદયદ્રાવક અને ભયાનક દ્રશ્યો
આ દર્દનાક દૂર્ઘટના જેણે પોતાની નજરે જોઈ એવા અમુક પ્રત્યક્ષદર્શીઓ સામે આવ્યા છે જેમણે જણાવ્યુ કે પુલ પડી ગયા પછીના દ્રશ્યો કેટલા હ્રદયદ્રાવક અને ભયાનક હતા.
મોરબીઃ ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે મચ્છુ નદી પર ઝુલતો પુલ પડી જવાની ગોઝારી દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત નીપજ્યા છે અને 177 લોકોને બચાવવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સેનાના જવાન, વાયુસેના, ફાયર બ્રિગેડ અને પ્રશાસનની ટીમો લોકોને જીવ બચાવવામાં લાગી છે. આ દર્દનાક દૂર્ઘટના જેણે પોતાની નજરે જોઈ એવા અમુક પ્રત્યક્ષદર્શીઓ સામે આવ્યા છે જેમણે જણાવ્યુ કે પુલ પડી ગયા પછીના દ્રશ્યો કેટલા હ્રદયદ્રાવક અને ભયાનક હતા.

'7-8 મહિનાની ગર્ભવતી મહિલાને મરતી જોઈને મારુ હૃદય દ્રવી ઉઠ્યુ'
પુલ પાસે ચા વેચતા એક વ્યક્તિએ દૂર્ઘટના વિશે જણાવ્યુ, 'હું દર રવિવારે અહીં ચા વેચવા આવુ છુ. અકસ્માત બાદ લોકો પુલના કેબલથી લટકી ગયા હતા અને પછી લપસીને નીચે પડવા લાગ્યા હતા. હું આખી રાત ઊંઘ્યો ન હતો અને મે આખી રાત લોકોને બચાવવામાં મદદ કરી. મારી નજર સામે 7-8 મહિનાની ગર્ભવતી મહિલાને મરતી જોઈને મારુ હૃદય દ્રવી ઉઠ્યુ. મે મારી આખી જીંદગીમાં આવો ભયંકર અકસ્માત ક્યારેય જોયો નથી.'

'હું શબ્દોમાં વર્ણવી નથી શકતી કે દૂર્ઘટના કેટલી ભયાનક હતી'
અન્ય એક પ્રત્યક્ષદર્શી મહિલાએ કહ્યુ, 'હું શબ્દોમાં વર્ણવી નથી શકતી કે દૂર્ઘટના કેટલી ભયાનક હતી. મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. મે લોકોને એવી રીતે મદદ કરી કે જાણે તેઓ મારા પોતાના પરિવારના સભ્યો હોય. મે મારી કાર પણ રેસ્ક્યુ ટીમને આપી હતી જેથી કરીને લોકોને વહેલી તકે હૉસ્પિટલ પહોંચાડી શકાય. પ્રશાસનની ટીમો તાત્કાલિક લોકોને બચાવવામાં લાગી ગઈ હતી. આવા અકસ્માતની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.'

પત્નીને માથામાં થઈ ઈજા, કરાયુ સિટી સ્કેન
મોરબીની સિટી હૉસ્પિટલમાં દાખલ એક ઘાયલ અનિલે જણાવ્યુ કે, 'મારી બે દીકરીઓ, પત્ની, સાળી, મારી પત્નીના આન્ટી અને તેમના 3 દીકરાઓ દૂર્ઘટના સમયે ત્યાં હતા. મારી પત્નીને માથામાં ઈજા થઈ હતી. સીટી સ્કેન કરવામાં આવ્યુ છે. રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.'

20 બોટ રેસ્ક્યુ ઑપરેશનમાં લાગી
અકસ્માત અંગે રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યુ હતુ કે, 'રાજકોટ ફાયર બ્રિગેડ વતી 6 બોટ, 6 એમ્બ્યુલન્સ, 2 રેસ્ક્યુ વાન અને 60 જેટલા જવાનોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા છે. વડોદરા, અમદાવાદ, ગોંડલ, જામનગર અને કચ્છમાંથી લાવવામાં આવેલી કુલ 20 બોટ બચાવ કામગીરીમાં સામેલ છે. તેમજ લોકોની મદદ માટે 15 એમ્બ્યુલન્સ પણ અહીં છે.

ગોતાખોરોને ઉંડાણમાં સ્પષ્ટ જોવામાં મુશ્કેલી
એનડીઆરએફની ટીમો પણ બચાવ કામગીરીમાં લાગી છે. NDRF કમાન્ડન્ટ વીવીએન પ્રસન્ના કુમારે જણાવ્યુ હતુ કે, 'અમે સ્થાનિક વહીવટીતંત્ર, SDRF, ફાયર સર્વિસ, આર્મી, નેવી, એરફોર્સ અને NDRF વચ્ચે સમગ્ર વિસ્તારને ત્રણ ભાગમાં વહેંચ્યો છે. અમને શંકા છે કે તૂટી પડેલા પુલની નીચે કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. જેના માટે અમે આવા ગોતાખોરોની મદદ લઈ રહ્યા છીએ, જેઓ ઊંડા પાણીમાં જઈ શકે છે. અમારી સામે એકમાત્ર પડકાર એ છે કે અહીંનુ પાણી ગંદુ છે, જેના કારણે અમારા ડાઇવર્સને ઊંડાણમાં સ્પષ્ટ જોવામાં મુશ્કેલી પડી રહી છે.












Click it and Unblock the Notifications
