મોરબી પુલ દૂર્ઘટનામાં 132ના મોત, 7 મહિનાથી હતો બંધ, નહોતુ ફીટનેસ સર્ટિફિકેટ, જાણો 10 મોટી વાતો
મોરબીની મચ્છુ નદી પર રવિવારે સાંજે 6.42 વાગે ઝુલતો પુલ તૂટી પડવાની દૂર્ઘટનામાં અત્યાર સુધી 132 લોકોના મોત નીપજ્યા છે. જાણો 10 મોટી વાતો.
મોરબીઃ ગુજરાતમાં મોરબીની મચ્છુ નદી પર રવિવારે સાંજે 6.42 વાગે ઝુલતો પુલ તૂટી પડવાની દૂર્ઘટનામાં અત્યાર સુધી 132 લોકોના મોતની પુષ્ટિ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 19 લોકોના ઈલાજ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળનુ નિરીક્ષણ કર્યુ હતુ. આખી રાતથી સેના, નૌકાદળ, વાયુ સેના, એનડીઆરએફ, ફાયરબ્રિગડનુ રેસ્ક્યુ ઑપરશન ચાલુ છે.

ફિટનેસ સર્ટિફિકેટ હજુ મળ્યુ નહોતુ
1. તમને જણાવી દઈએ કે આ પુલ છેલ્લા 7 મહિનાથી બંધ હતો. એક ખાનગી કંપની દ્વારા સાત મહિના સુધી પુલનુ સમારકામ ચાલ્યા બાદ આને પાંચ દિવસ પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જો કે નગરપાલિકાનુ ફિટનેસ સર્ટિફિકેટ હજુ મળ્યુ નહોતુ જેની માહિતી એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
2. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે રાત્રે દૂર્ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી અકસ્માત અંગે ચિંતિત છે. તેઓ સતત મારા સંપર્કમાં છે અને બચાવ અને રાહત કામગીરી, ઘાયલોની સારવાર અંગે તાત્કાલિક માહિતી લઈ રહ્યા છે.'

મૃતકોની સંખ્યા વધવાની શક્યતા
3. પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, 'અમે અત્યાર સુધીમાં 120 મૃતદેહો બહાર કાઢ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.'
4. મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, 'ઓરેવા કંપનીને આ પુલ 15 વર્ષ સુધી ઑપરેશન અને મેઈન્ટેનન્સ માટે આપવામાં આવ્યો હતો. આ વર્ષે માર્ચમાં તેને સમારકામ માટે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. 26 ઓક્ટોબરના રોજ સમારકામ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો.'

પળવારમાં પુલ તૂટી પડ્યો
5. દુર્ઘટનાને યાદ કરતા સાક્ષીઓએ જણાવ્યુ હતુ કે પળવારમાં પુલ તૂટી પડ્યો હતો. અકસ્માત સમયે સેંકડો લોકો પુલ પર એકઠા થઈ ગયા હતા.
6. મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટના અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. રેન્જ આઈજીપીના નેતૃત્વમાં આજથી તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રિજની મેનેજમેન્ટ ટીમ પર આઈપીસીની કલમ 304 (બિન ઈરાદાપૂર્વકની), 308 (જાણીજોઈને મોતનુ કારણ બનવુ) અને 114 (ગુના દરમિયાન હાજર ગુનેગાર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બચાવ કામગીરી ચાલુ
7. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
8. ભારતીય સેનાના મેજર ગૌરવે કહ્યુ, 'બચાવ કાર્ય ચાલુ છે. ભારતીય સેના લગભગ 3 વાગે અહીં પહોંચી હતી. અમે મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એનડીઆરએફની ટીમો પણ બચાવ કામગીરી કરી રહી છે.'

અમિત શાહે વર્ણવ્યુ દુઃખ
9. મોરબી બ્રિજ અકસ્માત અંગે અમિત શાહે કહ્યુ કે, ગુજરાતમાં ગઈકાલની ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌ પ્રથમ, હું દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. જેઓ મૃત્યુ પામ્યા છે તેઓને શાંતિ મળે.
10.સંરક્ષણ અધિકારીએ માહિતી આપી છે કે મોરબીમાં તૈનાત ભારતીય સેનાની ટીમોએ અકસ્માતમાં બચી ગયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. ત્રણેય સંરક્ષણ સેવાઓએ સર્ચ ઓપરેશન માટે તેમની ટીમો તૈનાત કરી છે.
મોરબી પુલ દૂર્ઘટના સ્થળે પુરજોશમાં ચાલી રહી છે રાહત અને બચાવ કામગીરી, તંત્ર સતત ખડેપગે #MorbiBridge #Rescueoperation #Gujarat pic.twitter.com/dfGpdGFSL9
— Gujarat Information (@InfoGujarat) October 30, 2022












Click it and Unblock the Notifications
