નીતિશ કુમારના સાંસદે કહ્યું, ‘પીએમ બને નરેન્દ્ર મોદી’
અમદાવાદ, 28 ઑગસ્ટઃ નીતિશ કુમારે ભલે નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની આશંકાઓને લઇને ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો હોય, પરંતુ તેમની પાર્ટીમાં જ તેમના વિરુદ્ધ બગાવતના સૂર જોવા મળી રહ્યાં છે. બિહાર મુઝફ્ફરપુરથી જેડીયુના લોકસભાના સાંસદ જયનારાયણ પ્રસાદ નિષાદે દેશના પ્રધાનમંત્રીના દાવેદાર તરીકે મોદીનું પૂરજોશમાં સમર્થન કર્યું છે. સાથે જ નિષાદે પડકારભર્યા અંદાજમાં કહ્યું કે, તેમને કાર્યવાહીનો કોઇ ભય નથી.
નિષાદે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નિષાદે મંગળવારે કહ્યું કે ત્રણ દિવસ પહેલા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગર કાર્યાલયમાં મુલાકાત કરી હતી અને બિહાર તથા દેશની રાજકીય પરિસ્થિતિ પર વિસ્તારપુર્વક ચર્ચા કરી હતી.
જેડીયુએ ભલે ભાજપ સાથનું પોતાનું 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાંખ્યું છે અને સંબંધોમાં દરાર પેદા થવાનું મુખ્ય કારણ મોદીનું ભાજપમાં વધી રહેલું કદ છે. મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપની અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ નીતિશ કુમારે ભાજપ સાથે દૂરી બનાવી લીધી હતી.
જેડીયુ તરફથી કોઇપણ પ્રકારની કાર્યવાહીની સંભાવનાઓના સંબંધમાં તેમણે કહ્યું કે, આ પહેલા પણ પાંચવાર રાજકીય દળો બદલી ચૂક્યો છું અને તેમ છતાં પાંચવાર મુઝફ્ફરપુરથી લોકસભાનો સભ્ય બન્યો છું. તેથી તેમને એ વાતનો કોઇ ભય નથી કે કોઇપણ પાર્ટી તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરશે.