વંડી ઠેકીને ભાગી જઈએ તેવા નહિ, અમે વંડી બનાવીએ એવા છીએઃ મુળુભાઈ કંડોરીયા
વંડી ઠેકીને ભાગી જઈએ તેવા નહિ, વંડી બનાવીએ એવા છીએઃ મુળુભાઈ
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જામનગર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું, સાથે જ વિધાનસભાની જામનગર ગ્રામીણ સીટ પર પેટાચૂંટણી થનાર છે. જણાવી દઈએ કે કોંગ્રેસે વિધાનસભાની પેટા ચૂંટણી માટે જયંતિભાઈને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલા જામનગર ખાતે મુળુભાઈ કંડોરીયાએ જનસભાને સંબોધી ભાજપની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મુળુભાઈની સામે ચૂંટણી લડી રહેલા ભાજપના સાંસદ પૂનમ બેન માડમના ખુદ કાકા જ વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ મુળુભાઈ કંડોરીયા વર્ષો સુધી સમાજ સેવા કર્યા બાદ આજે ચૂટણી મેદાને ઉતર્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલા જાહેર જનસભા યોજીને મુળુભાઈ કંડોરીયા, વિક્રમભાઈ માડમ, જયંતિભાઈ, ચંદ્રિકાબેન, અશેકભાઈ લાલ વગેરે જેવા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
મોદી સરકારે ખેડૂતોને હેરાન કર્યા
ચંદ્રિકા બેને કહ્યું કે, નરેન્દ્ર મોદીએ જગતના તાત એવા ખેડૂતોને હેરાન કર્યા છે, 2-2 હજાર માટે લાઈનમાં ઉભા રાખ્યા છે અને મામલતદારની કચેરીએ ધક્કા ખાતા કરી દીધા છે. તેવા આ ખેડૂત વિરોધી નરેન્દ્રભાઈ મોદીને ભગાડવાનું કામ આ ખેડૂતોએ કરવાનું છે. વિનંતી કરતાં ચંદ્રીકાબેને કહ્યું કે, પાક વિમો, બહેનોની સલામતીનો પ્રશ્ન, રોજગારના પ્રશ્નો, યવાનોના પ્રશ્નો ઉકેલવા હોય તો આપણે લડીએ છીએ, આપણે મુળુભાઈ છીએ તેમ વિચારીને 23 તારીખે આપણે મતદાન કરવાનું છે.
મુળુભાઈની જીત નિશ્ચિંત છે
કોંગ્રેસના આગેવાન અને કૉ-ઓપરેટિવ બેંકના ચેરમેન અશોકભાઈ લાલે કહ્યું કે, આજની આ વિજય વિશ્વાસ સંમેલનમાં અને આપણા ઉમેદવારના ફોર્મ ભરવાના દિવસે જ્યારે આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ભેગા થયા હોય ત્યારે આપણા ઉમેદવાર મુળુભાઈ, જયંતિભાઈને વિશ્વાસ આપીએ છીએ કે જયંતિ ભાઈ અને મુળુભાઈ તમારો વિજય નિશ્ચિત છે. જણાવી દઈએ કે જયંતિભાઈ જામનગર ગ્રામીણ પર થનાર વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે જયંતિભાઈ પણ આજે પોતાનું નોમિનેશન ફોર્મ ભરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો- જાણો, તમારા સાંસદ પાસે કેટલી સંપત્તિ છે?
સરકારે ખેડૂતોને અન્યાય કર્યો
અશોકભાઈએ કહ્યું કે 'સાહેબ, રાજ્યમાં તમારી સરકાર હોય, કેન્દ્રમાં તમારી સરકાર હોય ત્યારે ધ્રોળ, જોડિયા અછતગ્રસ્ત જાહેર કર્યો હોવા છતાં માત્ર 40 ટકા વિમો આપો છે, અને લાલપુર અછતગ્રસ્ત જાહેર થયો હોય માત્ર 11 ટકા વિમો આપો છો, તો રાજ્ય સરકાર તમારી છે, રાજ્ય સરકાર જ્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે ત્યારે શું તમે ખેડૂતોની મશ્કરી કરવા માંગો છો? ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે કહું છું કે જે અન્યાય થયો છે ખેડૂતોને તેના માટે લડાઈ કરવા માટે આગેવાનું હું લઈશ, મારી સાથે રહેજો. આજે જ્યારે તમે આ સભા પૂર્ણ કરી મુળુભાઈ અને જયંતિભાઈનું ફોર્મ ભર્યા પછી ઘરે જાઓ ત્યારે એક વસ્તુ નક્કી કરી લેજો, જીત માટે બલિદાન દેવું પડે. માત્ર 19 દિવસ તમારે બલિદાન દેવું પડશે પછીની હું ખાતરી આપું કે 5 વર્ષ સુધી તમારો હાથી રહેશે આ.'
પોતાના પેટની પરવા ન હોય તેને સત્તા આપો
વધુમાં અશોકભાઈ લાલે કહ્યું કે, 'મુળુભાઈને ક્યાં કંઈ ઘટે છે, તેમને તો ભગવાનની દયા છે, પેટ ભરેલા માણસને સત્તા પર મોકલીએ તો તેમને પોતાના પેટની અપેક્ષા ન હોય, છેલ્લા આઠ વર્ષથી હું ડિસ્ટ્રિક્ટ કૉ ઓપરેટિવ બેંકનો ચેરમેન છું છતાં મેં એક ભથ્થું નથી લીધું ત્યારે હું મુળુભાઈ માટે કહી શકું કે તેઓ જ્યારે સંસદ સભ્ય થશે અને જયંતિભાઈ ધારાસભ્ય થશે ત્યારે પબ્લિકભાઈના પૈસા વેડફાશે નહિ તે ખાતરી આપું છું. મતદાન થઈ જાય તે સાંજ સુધી હું કોંગ્રેસ માટે કફન બાંધીને નીકળીશ.'
વિક્રમભાઈ માડમે પણ ભાજપ પર કર્યા પ્રહાર
પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા વિક્રમભાઈ માડમે કહ્યું કે, 'આ ભારતીય જનતાએ આપણને પાંચ વર્ષ સુધી મૂર્ખ બનાવીને સત્તા પર બેસી રહ્યા છે ત્યારે તેમનો હિસાબ માંગવાનો જવાબ આવ્યો છે. મોદીજી બે જગ્યાએથી ફોર્મ ભરે તો વાંધો નહિ પણ રાહુલ ગાંધી બે જગ્યાએથી ફોર્મ ભરે તો તેમને વાંધો શા માટે. હાર્દિક પટેલ 300 કિમી દૂર ફોર્મ ભરવા આવે તો તકલીફ પડે, મોદીજી 1000 કિમી દૂર જાય તો વાંધો શા માટે નહિ? ગયા વખતે ચા વાળો હતો એ આ વખતે ચોકીદાર બનીને આવે છે. આ ચોકીદાર વીઆઈપી ચોકીદાર છે, દિવસમાં 4-4 વખત કપડાં બદલે છે. કપડાં બદલવમાં પીએમ દિવસની કલાક બગાડી નાખે છે, જ્યારે આ એક કલાક દેશના કામમાં વાપરી હોત તો આજે મોદીજીએ મત માંગવા ન જવો પડત. જેમ ભીખારીઓને વિકલ્પ નથી હોતો તેમ ભાજપના કાર્યકરોને પણ વિકલ્પ નથી હોતો.'
સરકારે 15-20 ટકા મગફળી જ ટેકાના ભાવે લીધી
વધુમાં વિક્રમભાઈએ કહ્યું કે, આ સરકારે 15-20 ટકા મગફળી જ ટેકાના ભાવે લીધી, કોંગ્રેસની નીતિ જ એવી હતી કે ટેકાના ભાવની ચિંતા જ ન કરવી પડે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી નીતિ બનાવો. અમે 72000 રૂપિયા આપવાની વાત કરીએ તો તમે કહો કે રૂપિયા ક્યાંથી લાવશે અને પોતાએ 6 હજાર રૂપિયા આપવાના હોય તો આવી જશે.
લોકશાહી પરનો દાગ હટાવવાનો છેઃ મુળુભાઈ
મુળુભાઈ કંડોરીયાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, 'લોકશાહી ઉપર દાગ લાગ્યો છે તેને મિટાવવાનો છે મિત્રો, તેઓ કોંગ્રેસને મિટાવવાની વાત કરે છે આજે કોંગ્રેસ યુક્ત બની ગયા છે. ખેડૂતનો દીકરો છું, તમારા ભરોસે નિકળ્યો છું. ખેતીવાડી કેમ થાય એ દુનિયાને ઈઝરાયલે શીખવ્યું છે, તેમાંથી ખેતીને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ તે જાણવા હું બે વખત ઈઝરાયેલ ગયો હતો. મારું વિઝન છે અને ચોક્કસ વિઝન ખાતે હું રાજકારણમાં પ્રવેસ્યો છું, અમારી ખેલદીલીમાં કે અમારી કામ કરવાની પદ્ધતિમાં ક્યારેય ફેર નહિં પડે. તમે વિશ્વાસ રાખજો કે અમે વંડી ટપી જનારા નથી વંડી બનાવનારા છીએ. મન કી વાત નહિ દિલકી વાત કરનારી સરકાર બનાવવાની છે. આ સરકારે કોઈને પૂછ્યા વિના રાતોરાત નોટબંધી એમ કહીને લાદી દીધી કે કાળુંનાણું બહાર આવશે, તો શું ખેડૂતના ઘરે પડેલી આખા વર્ષની કમાણી બે નંબરની કમાણી છે? તેમણે દેશને છેતરી દેશની આર્થિક વ્યવસ્થા તોડી પાડી.'
મુળુભાઈએ પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું
વધુમાં મુળુભાઈ કંડોરીયાએ કહ્યું કે આજે પણ લોકોને રોજગારી નથી મળતી. 45 વર્ષમાં સૌથી ઓછી રોજગારીનું સર્જન હાલના પાંચ વર્ષમાં થયું છે. ઉલ્લેખનીય છે કે વિપુલભાઈ કગથરા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા જેઓ આજે 25 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત લખુભાઈ ગોજીયા, મસરીભાઈ ગોરીયા, અરજનબાઈ કણજારીયા, કનુભાઈ હડિયલ સહિતના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસે જામનગરથી મુળુભાઈ કંડોરીયાને આપી ટિકિટ, જાણો કોણ છે મુળુભાઈ કંડોરીયા