Narayan Sai bail : કોર્ટે દુષ્કર્મ કેસમાં ગુનેગાર નારાયણ સાઈને પાંચ દિવસના શરતી જામીન આપ્યા
Narayan Sai bail : બળાત્કારના કેસમાં દોષિત ઠરી જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાઈને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે તેમની માતાની ગંભીર બીમારીના કારણે પાંચ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
નારાયણ સાઈ આસારામનો પુત્ર છે અને સુરતની જેલમાં બંધ છે. તેણે અગાઉ 45 દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમને માત્ર પાંચ દિવસ માટે જ જામીન આપ્યા છે.

આ જામીન મંજૂર કરતી વખતે કોર્ટે કેટલીક કડક શરતો પણ મૂકી છે. મુખ્ય શરત એ છે કે નારાયણ સાઈ જામીન દરમિયાન માત્ર તેમની બીમાર માતાને જ મળી શકશે.
આ ઉપરાંત તેને આસારામના કોઈ પણ સમર્થક કે આશ્રમ સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિની મુલાકાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ શરતો પાછળનો હેતુ એ છે કે નારાયણ સાઈ જામીનનો દુરુપયોગ ન કરે અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન થાય.
નારાયણ સાઈ સામે વર્ષ 2013માં સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં 2019માં સુરતની કોર્ટે તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
ત્યારથી તે જેલમાં છે. અગાઉ પણ તેમણે વિવિધ કારણોસર જામીન માટે અરજીઓ કરી હતી, પરંતુ તે નામંજૂર થઈ હતી. આ વખતે તેમની માતાની ગંભીર હૃદયની બીમારીને કારણે કોર્ટે માનવીય દ્રષ્ટિકોણ અપનાવી આ મર્યાદિત સમયના જામીન આપ્યા છે.












Click it and Unblock the Notifications
