નારદીપુર તળાવનું સૌંદર્યીકરણ થશે, ૪ હજાર વૃક્ષોના વાવેતર અને ઉછેર કરાશે!
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામના તળાવ પરિસરમાં વટ વૃક્ષ વાવ્યું હતું. અમિત શાહે નક્ષત્ર વન અંતર્ગત કરેલા વૃક્ષારોપણમાં પોતાના નક્ષત્રના આરાધ્ય વૃક્ષ આમળાનો છોડ પણ આવ્યો હતો.
ગાંધીનગર : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામના તળાવ પરિસરમાં વટ વૃક્ષ વાવ્યું હતું. અમિત શાહે નક્ષત્ર વન અંતર્ગત કરેલા વૃક્ષારોપણમાં પોતાના નક્ષત્રના આરાધ્ય વૃક્ષ આમળાનો છોડ પણ આવ્યો હતો. નારદીપુર તળાવના સૌંદર્યીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ૪,૦૦૦ વૃક્ષોના વાવેતર અને ઉછેરનો સંકલ્પ છે. ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત મિશન મિલિયન ટ્રી ઝુંબેશમાં આજે નારદીપુરમાં વૃક્ષારોપણ કારસેવા કાર્યક્રમ યોજાયો હતો.
ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રી અમિત શાહે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણના જીવનનો અભ્યાસ કરીએ તો આશ્ચર્ય થાય કે, એક જ વ્યક્તિમાં આટલું વૈવિધ્ય કેવી રીતે હોઈ શકે! ભગવાન શ્રીકૃષ્ણ યોગી સ્વરૂપે પણ છે અને મહાન સંગીતકાર તરીકે પણ આપણે તેમને ઓળખીએ છીએ. ગીતાના રચયિતા અને તત્વજ્ઞાનના પ્રણેતા પણ શ્રીકૃષ્ણ છે તો ચારુણ અને કંસનો વધ કરનાર મહાન મલ્લ પણ ભગવાન શ્રીકૃષ્ણ છે. સારંગ ધનુષ્યના ધારણકર્તા શક્તિશાળી ધનુર્ધારી શ્રીકૃષ્ણ છે, તો પંચજન્યધારી મહાન રણનીતિકાર પણ ભગવાન શ્રીકૃષ્ણ છે. અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના માટે 'સંભવાની યુગે યુગે'નો સંદેશો આ સૃષ્ટિને આપનાર ભગવાન શ્રીકૃષ્ણ દરેકના મનમાં બિરાજે છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, નારદીપુરનું આ તળાવ ઉર્જા કેન્દ્ર બનવું જોઈએ. નારદીપુર તળાવના સૌંદર્યીકરણ પ્રોજેક્ટના પ્રારંભે નારદીપુરની સ્વચ્છતાના અને નારદીપુરને હરિયાળું કરવાના સંકલ્પ કર્યા હતા. નારદીપુર તળાવના પરિસરમાં ૪,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. જન્માષ્ટમીના પવિત્ર પર્વે આ પરિસરમાં નક્ષત્ર વનનું વાવેતર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ એક વૃક્ષ સાથે જોડાયેલી છે. વૃક્ષ વ્યક્તિના સ્વભાવની ઉણપનું સમન પણ કરે છે. નારદીપુર તળાવના સૌંદરીકરણ પ્રોજેક્ટની જવાબદારી જે.એસ.ડબલ્યુ. ઇનિસીએટીવ્સ દ્વારા લેવામાં આવી છે. તેમણે આ માટે જે.એસ.ડબલ્યુ.ના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.