નરેન્દ્ર મોદીએ સોનિયા અને PMને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું
કોંગ્રેસના આ બંને વરિષ્ઠ નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાના 7 ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણીસભાઓ સંબોધવા આવવાના છે ત્યારે, તેઓ ખેડૂતોને અન્યાય કેમ કર્યો તેના જવાબો આપવા માટેનુ પૂરેપુરૂં લેશન કરીને આવે એવો પડકાર મુખ્યમંત્રીએ ફેંક્યો છે.
નરેન્દ્ર મોદીએ ડૉ મનમોહનસિંહ અને સોનિયા ગાંધીની કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તેના સ્પષ્ટ જવાબો આ બને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવીને આપે તેવી આક્રમક માંગ કરતા જણાવ્યું કે આ વર્ષે દશ વર્ષ પછી વરસાદ દોઢ મહિનો ખેંચાતા ગુજરાતના ખેડૂતોને ખેતીમાં રૂા. 15,000 કરોડનુ નુકશાન થયેલું. ખેડૂતોને ગૂમરાહ કરવા કેન્દ્રના ત્રણ મંત્રીઓ ગુજરાતમાં આવીને ખેડૂતોને ગુજરાત સરકારના આ અભ્યાસસર્વેના આધારે કેન્દ્રનું ખેતી રાહત પેકેજ અપાશે એવું વચન આપી ગયેલા. આજે ત્રણ મહિના વીતી ગયા, એક પાઇ પણ ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારે આપી નથી, તો આવા જૂઠ્ઠાં વચનો કેમ આપ્યા?
બીજું, ગુજરાતના ખેડૂતોને જ્યારે દુનિયામાં મબલખ કમાણી કપાસની નિકાસથી થવાની હતી, ત્યારે જ ગયા માર્ચ મહિનામાં કપાસની નિકાસ ઉપર એકાએક પ્રતિબંધ મૂકી દઇને રૂા. 7,000 કરોડનું નુકશાન ખેડૂતોને કર્યું છે. કોના લાભાર્થે આ ખેડૂત વિરોધી કપાસ નિકાસનો પ્રતિબંધ મૂકવામાં આવેલો અને કોના લાભાર્થે દુનિયામાં કપાસની ખરીદીનું બજાર પુરૂં થયું ત્યારે તે ઉઠાવી લેવાયો તેનો જવાબ આપો, એમ પણ નરેન્દ્ર મોદીએ માંગ કરી છે.
ત્રીજું, ગુજરાતે છેલ્લા દશ વર્ષમાં કેન્દ્ર સામે નર્મદા ડેમની ઊંચાઇ વધારવા મુખ્યમંત્રી જાતે ઉપવાસ ઉપર ઉતરેલા તેની યાદ આપી મોદીએ જણાવ્યું કે 121.95 મીટરની ડેમની ઊંચાઇ બનાવવા માટે સર્વોચ્ચ અદાલતમાથી ન્યાય મેળવેલો. હવે, 138 મીટરના પૂર્ણ ઊંચાઇના ડેમ માટે માત્ર છ-છ માળના 38 દરવાજા જ મૂકવાના છે, પરંતુ કેન્દ્ર સરકાર તેની મંજૂરી નથી આપતી, શા માટે?
ગુજરાતની જનતા અને ખેડૂતોને નર્મદા યોજનામાથી પાણી મેળવવાના હક્કથી વંચિત રાખવાનો કારસો શા માટે? ડૉ મનમોહનસિંહ અને સોનિયાજી ગુજરાતની જનતાને જવાબ આપે તે માટે અગાઉથી આ સવાલો કર્યાં છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહયું કે, ગુજરાત આવો તો પૂરેપુરૂં હોમવર્ક લેશન કરીને જ આવજો.
નરેન્દ્ર મોદી કેન્દ્રની કોંગ્રેસ સરકારને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોએ સરકારના જળસચય અને કૃષિમહોત્સવોને ઉપાડી લઇને ક્રાતિ કરી, ત્યારે કોંગ્રેસીઓ આ અભિયાનને મોદીનો તાયફો ગણાવે છે! ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોમાં ખેડૂતોને વીજળીની સબસિડી રૂા. 300 કરોડ મળતી આજે રૂા. 3000 કરોડની સબસિડી ભાજપ સરકાર આપે છે.
કોંગ્રેસ રાજમાં ખેડૂતોના ટ્રાન્સફોર્મરો વોલ્ટેજની ખામીને કારણે બળી જતા પણ કોંગ્રેસ સરકારોનું ટ્રાન્સફોર્મરો બદલવાનું રૂંવાડું ફરકતું નહોતું. આજે પૂરાં વોલ્ટેજથી વીજળી મળે છે અને ટ્રાન્સફોર્મર બળી જાય તો તુરંત બદલી અપાય છે. કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ્યારથી દિલ્હીમાં સત્તા ઉપર આવી છે ત્યારથી એક કિલો પણ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધાર્યું નથી અને ફર્ટિલાઇઝરમાં પાંચ ગણો ભાવ વધારો ઝીંકી દીધો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતના ખેડૂતોને જેટલો ઘોર અન્યાય કર્યો છે અને ખેતીને બરબાદ કરવાના પેંતરા કર્યા છે તેનો હિસાબ ખેડૂતો આ ચૂટણીમાં આપી જ દેશે. સૌરાષ્ટ્રની જનતાને પીવાના અને સિંચાઇના નર્મદાના પાણી આપવા સામે પણ વિરોધ કરનારી કોંગ્રેસ સામે ગુજરાતના ખેડૂતોના મિજાજનો પરચો મળી જશે એમ તેમણે જણાવ્યું હતું.