"કોંગ્રેસનો મુદ્દો મોદીને ગુજરાતનો વિકાસ કરતા રોકો"
નરેન્દ્રભાઇ મોદીએ આજે એક જ દિવસમાં મધ્ય ગુજરાત અને કચ્છકાઠિયાવાડનો વિદ્યુતવેગી ચૂંટણી પ્રવાસ કરી સાત જંગી સભાઓ સંબોધવા અભિયાન ઉપાડયું જેમાં ડાકોર, કાલોલ, સાયલા, ભચાઉ, વાંકાનેર, ભૂજ અને રાજકોટનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ ડાકોરના રણછોડરાયજીના દર્શન કરીને ડાકોર અને કાલોલમાં મધ્ય ગુજરાતના છ વિધાનસભા મતક્ષેત્રોની બે સંયુકત જનસભાઓને સંબોધતા જણાવ્યું કે ગુજરાતનું ભાવિ સોંપવાનો કોના ઉપર ભરોસો મૂકવો છે તે નક્કી કરીને ભાજપાના કમળ ઉપર બટન દબાવીને અગાઉના બધા જ વિક્રમો તોડીને ભાજપાનો વિજય વાવટો ફરકાવજો. તમે ભાજપાના કામને અને વિકાસને બાર વર્ષથી ઓળખ્યો છે. આખે આખું ગુજરાત મને બરાબર પારખે છે અને મને તમારા આશીર્વાદથી સેવા કરવાની તક આપી છે ત્યારે કમળના નિશાન ઉપર મત આપશો તો તે મત મારા ખાતા ઉપર જમા થવાનો છે તેમ ઉમેરી તેમણે જણાવ્યું કે કોંગ્રેસનો એક જ કાર્યક્રમ છે, મોદીને માટે રોજ ઉઠીને ડિકશનેરીમાંથી નવી ગાળો શોધીને આપવી. રોજ ઉઠીને કાદવકિચડ ઉછાળવો એ સિવાય ગુજરાત વિશે તેમની પાસે કોઇ કાર્યક્રમ જ નથી.
ગુજરાતને બેહાલ કરવાના કોંગ્રેસના જૂઠ્ઠાણા બધા પકડાઇ જ જવાના છે અને જનતાના હાથે ભૂંડા હાલ થવાના જ છે એમ જણાવી નરેન્દ્રભાઇ મોદીએ સોનિયા ગાંધીએ ગઇ ચૂંટણીમાં છોટાઉદેપુરમાં જંગી આદિવાસી રેલીથી ચૂંટણી પ્રચાર શરૂ કરેલો પણ બૂરા હાલે કોંગ્રેસ હારેલી તેથી આ વખતે સોનિયા ગાંધીએ પ્રચારની દિશા બદલી અને રાજકોટમાં જંગી રેલી કરીપણ કોંગ્રેસ જનતાને ગમે એટલી છેતરવા માંગે, ગુજરાતની જનતા એને છોડવાની નથી.
ગુજરાતમાં કેન્દ્ર સરકારે ઘેર ઘેર, ગામોગામ ગેસની પાઇપલાઇનો નાંખવાનો કાર્યક્રમ રોકી લીધો છે. કોઇ હિસાબે મોદીને વિકાસના કામો કરતા રોકો એ જ કોંગ્રેસના પેંતરા રહયા છે. જો મોદી વિકાસ કરશે તો ગુજરાતની જનતાના આશીર્વાદ મળતા રહેશે અને કોંગ્રેસ કયારેય ગુજરાતમાં રાજ કરી નહી શકે. પણ ગુજરાતને અન્યાય કરનારી ગુજરાત વિરોધી કેન્દ્ર સરકાર સામે ગુજરાત ઝૂકવાનું નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની અને ખેતીની આવક વધારવા માટે રાજ્ય સરકારે જે પ્રોત્સાહનો આપ્યા છે તેની ભૂમિકા આપી મધ્ય ગુજરાતની જંગી સભામાં જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે વિદેશી કંપનીઓને રિટેઇલછૂટક વેપારમાં લાવવાનો એવો કારસો કર્યો છે કે લાખો લાખો છૂટક વેપારી, તેના ગૂમાસ્તા બેકાર થઇ જવાના છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને ખાતરના ભાવોમાં મોંધવારીનો કમ્મરતોડ માર પડતો રહયો છે. યુરિયા ખાતર અને DPA, NPK ખાતરોમાં પાંચ ગણો ભાવ વધારો છેલ્લા એક જ વર્ષમાં કર્યો છે. ડી.પી.એ. ખાતર સાડા ચારસો રૂા. થેલીમાંથી સાડા સાતસો રૂપિયે મળે છે. એનપીકે ખાતર ૧ર૦૦ રુા. આપતા પણ નથી મળતું યુરિયા ખાતરમાં પ૦ રૂપિયા થેલીએ વધારી દીધા અને એક કીલો ખાતરનું પણ ઉત્પાદન કોંગ્રેસના દિલ્હીના રાજમાં વધાર્યું નથી. ખેતીને બરબાદ કરનારી કોંગ્રેસને કિસાનો કયારેય સાથ નહી આપે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
નરેન્દ્રભાઇ મોદીએ ડાકોરમાં ઉમરેઠ, ઠાસરા અને બાલાસિનોર તથા કાલોલમાં કાલોલ, હાલોલ અને ગોધરા બેઠકોના ભાજપાના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.