શું નરેન્દ્ર મોદી 2019માં લોકસભાની ચૂંટણી ગુજરાતથી લડશે?
શું નરેન્દ્ર મોદી 2019માં લોકસભાની ચૂંટણી ગુજરાતથી લડશે?
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે, રાજકીય પાર્ટીઓ પોતાની જમીન તલાસવામાં અને રાજકીય વિશ્વલેષકો ક્યાસ લગાવવામાં લાગી ગયા છે. ખાસ કરીને જે રીતે રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઇ ત્યારથી હવે, તેનો સિતારો ચમકશે કે કેમ તેના પર અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
2014માં મોદીની સફળ એન્ટ્રી
નરેન્દ્ર મોદીએ એક માહોલ બનાવીને રાષ્ટ્રીય રાજકારણમાં જંપલાવ્યું હતું. 2014ની એ વખતની સ્થિતિ ઘણી અલગ હતી. તત્કાલિન યુપીએ સરકાર એન્ટિ ઇન્કમ્બન્સીથી ઝજૂમતી હતી ત્યારે, જાહેર થયેલા કેટલાક ભ્રષ્ટાચારના માહોલથી મતદારો પણ નવી આશા રાખી રહ્યા હતા. ત્યારે, નરેન્દ્ર મોદીએ મેદાનમાં ઉતરી લોકોની અપેક્ષામાં ખરા ઉતરવાનો સંદેશ આપ્યો. જેના કારણે, નરેન્દ્ર મોદીને ફતેહ પણ મળી.
વારાણસી અને વડોદરાથી મેળવી હતી ફતેહ
ત્યારે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વડોદરાથી અને ઉત્તરપ્રદેશમાં વારાણસીથી ચૂંટણીના મેદાનમાં જંપલાવ્યું હતું. બંને બેઠક પર નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયો હતો. પરિણામ બાદ તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી અને વારાણસીના સાંસદ તરીકે ચાલુ રહ્યા હતા. પરંતું, વારાણસીની જનતાને ત્યાં જે અપેક્ષા હતી તેને પુર્ણ કરવામાં નરેન્દ્ર મોદી સંપુર્ણ નિષ્ફળ રહ્યા છે. વારાણસીમાં તેમણે દત્તક લીધેલા જયાપુર ગામની નરેન્દ્ર મોદીએ એકપણ વખત મુલાકાત સુદ્ધાં લીધી નથી. ત્યારે, વારાણસીની જનતાની નારાજગીનો સામનો પણ કરવો પડી શકે છે.
સપા-બસપાના સમિકરણ પડશે ભારે ?
ઉત્તરપ્રદેશના રાજકારણમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે યુતિ થવાના કારણે ઘણા રાજકીય સમિકરણ બદલાઇ શકે છે. વારાણસી જે નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર છે ત્યાં આ મહાગઠબંધન પણ હવે કઠણ ટક્કર આપી શકે છે. ત્યારે, મોદી ફરીથી વારાણસીથી મેદાનમાં ઉતરવાની સંભાવના ઘણી ઓછી છે.
હોમ ટાઉનમાં ઉતરવાનું કરશે પસંદ ?
નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં ઓરિસ્સાના પુરીથી જંપલાવે તેવી શક્યતા પણ છે. પરંતું, જે રીતે પડકાર મળી રહ્યા છે ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોમ ટાઉન પીચ પરથી રમવાનું પસંદ કરે તેવી સંભાવના વધારે છે. નરેન્દ્ર મોદી શહેરી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર જ મેદાનમાં આવશે તે નિશ્ચિત છે. ત્યારે, અમદાવાદ પુર્વ, વડોદરા અને રાજકોટ બેઠક પર મોદી પોતાની પસંદગી ઉતારી શકે છે.
શહેરી મતદારોના પ્રભાવવાળી બેઠક પ્રથમ પસંદ
અમદાવાદ પુર્વની બેઠક પર હાલમાં પરેશ રાવલ સાંસદ છે. પરંતું, 2019ની ચૂંટણીમાં તેમને રિપિટ કરવાની શક્યતા નહિવત્ છે. અમદાવાદ પૂર્વ એ શહેરી મતદારોનો દબદબો ધરાવતી બેઠક છે. તેની સાથે સાથે આ બેઠક પર ભાજપનો પ્રભાવ રહ્યો છે. તો, વડોદરા બેઠક પણ શહેરી મતદારો પ્રભાવિત હોવાની સાથે સાથે ભાજપની પરંપરાગત બેઠક રહી છે. નરેન્દ્ર મોદી 2014માં પણ ત્યાં ચૂંટાયા હતા. ત્યારે, ફરીથી વડોદરાથી મેદાને આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
રાજકોટમાંથી મેદાનમાં ઉતરે તેવી ચર્ચા
આ ઉપરાંત રાજકોટ બેઠક પરથી નરેન્દ્ર મોદી લોકસભામાં જાય તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે. પ્રથમ વખત વિધાનસભા પ્રવેશ નરેન્દ્ર મોદીએ રાજકોટથી જ કર્યો હતો. ત્યારે, ફરીથી એક વખત રાજકોટને પોતાનું મત વિસ્તાર બનાવે તેવી વકી જોવા મળી રહી છે. રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેબિનેટ પ્રધાનો જયેશ રાદડીયા તેમજ કુવરજી બાવળીયાનો મતવિસ્તાર છે. ત્યારે, આ સૅફ ગણાતી બેઠક પરથી મોદી મેદાનમાં આવે તેવી ચર્ચા છે.
સૅફ બેઠક પરથી લડશે ચૂંટણી !
જોકે, નરેન્દ્ર મોદી આખરી ક્ષણો સુધી પોતાના નિર્ણય છુપાવી રાખવા માટે જાણીતા છે. પરંતું, તેમના આંતરિક સર્વેમાં પોતાના માટે વધારે અનુકૂળ અને ભાજપ માટે પરંપરાગત હોય તેવી બેઠક પર પસંદગીનો કળશ ઢોળશે તે નિશ્ચિત છે.