ગાંધીનગરના બહિયલમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો થતા તણાવ
નવરાત્રિ ઉત્સવની વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાંથી એક ચિંતાજનક અને હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે.
ગામમાં ચાલી રહેલા ગરબા મહોત્સવ દરમિયાન અચાનક બે જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો, જેણે તંગદિલીભરી સ્થિતિ પેદા કરી છે.

અહેવાલો અનુસાર, બહિયલ વિસ્તારમાં માતાજીની ગરબી ચાલી રહી હતી. આ સમયગાળા દરમિયાન ટોળાએ અચાનક ત્યાં ધસી આવીને ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાને કારણે ગરબાના આયોજનમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.
પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. ટોળાએ કથિત રીતે બે થી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી હતી અને ત્યાં લૂંટફાટ પણ ચલાવી હોવાના અહેવાલો છે. આ સિવાય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ ઘટનાના પગલે સમગ્ર બહિયલ ગામમાં તંગદિલીનો માહોલ છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ હિંસક અથડામણ પાછળના ચોક્કસ કારણો અને તેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગણી થઈ રહી છે.












Click it and Unblock the Notifications
