મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના મંત્રીઓની શપથવિધિ સંપન્ન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુરૂવારના રોજ 10 કેબિનેટ મંત્રી અને 5 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ તેમજ 09 રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ શપથવિધિ સમારોહ રાજભવનમાં યોજાયો હતો.
ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાના એક દિવસ બાદ ભાજપના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે, આગામી બે દિવસમાં મંત્રીમંડળના શપથગ્રહણ થવાની સંભાવના છે. શનિવારના રોજ વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ સોમવારના રોજ માત્ર ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જે બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુરૂવારના રોજ 10 કેબિનેટ મંત્રી અને 5 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ તેમજ 09 રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.


નવા મંત્રીમંડળના સભ્યો દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવામાં આવ્યા
નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહ રાજભવનમાં યોજાયો હતો, જેમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

સ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષાના 9 પદનામિત મંત્રીઓએ પણ લીધા શપથ
નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષાના 9 પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતેન્દ્ર વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.

દેવા માલમે શપથ ગ્રહણ કર્યા
રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમીષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદ મોરડીયા અને દેવા માલમે શપથ ગ્રહણ કર્યા હતા.

મુખ્ય સચિવ પંકજકુમારે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું
નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ, દંડક પંકજ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા આ શપથવિધિ સમારોહનું સંચાલન કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
