ગુજરાત વિધાનસભામાં લોકાયુક્ત બિલ પસાર, વિપક્ષનું વોકઆઉટ
રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે એટલે કે આજે આ લોકાયુક્ત માટેનો નવો ખરડો રજૂ કર્યો હતો. જોકે જેની સામે વિપક્ષી દળે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને આ નવા ખરડા અંગે ચર્ચા પણ થઇ પરંતુ છેક સુધી લડત આપવા છતાં પણ વિપક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો અને અંતે બિલને ગૃહમાં મંજૂરી મળી ગઇ હતી, અને વિપક્ષે વોકઆઉટ કરી લીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 1986ના વર્ષથી લોકાયુક્ત અધિનિયમ અસ્તિત્વમાં છે પરંતુ છેક 2003થી રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંક થઇ જ નથી. આ પહેલા રાજ્યપાલ કમલા બેનિવાલે લોકાયુક્ત તરીકે પૂર્વ જસ્ટિસ આર. એ. મેહતાની નિમણૂંક કરી હતી. જે અંગે વિવાદ વકર્યો હતો અને આખો કેસ છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે સુપ્રિમ કોર્ટે મોદી સરકાર વિરુદ્ધનો નિર્ણય સંભળાવ્યો હતો.
નવા સુધારા સાથેના આ લોકાયુક્ત બીલમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે હવે લોકાયુક્ત અધિનિયમ 2013 પ્રમાણે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંકમાં સીધી મુખ્યમંત્રીની દખલ રહેશે જ્યારે રાજ્યપાલે એમાં માથું મારવાનું આવશે નહીં.