Morbi Bridge Collapse : કોઇ વકીલ નહીં લડે મોરબી ઝૂલતા પુલના આરોપીઓનો કેસ, બે બાર એસોશિએશને લીધો નિર્ણય
Morbi Bridge Collapse : મોરબીમાં મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હજૂ પણ નદીમાં મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.
Morbi Bridge Collapse : મોરબીમાં મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હજૂ પણ નદીમાં મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે આ ઘટનામાં પુલ બનાવનારી એજન્સી સામે બદઇરાદાથી હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ સાથે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ગુજરાતના વકીલ સંઘ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો
આ વચ્ચે ગુજરાતના વકીલ સંઘ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુજબ આરોપીઓનો કેસ વકીલ સંધ તરફથી ન લડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સાથે સમાચાર એજન્સી એએનઆઇ સાથે કરેલી વાતચીત દરમિયાન મોરબી બાર એસોશિએશનના વરિષ્ટ વકીલ એ. સી. પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે બાર એસોશિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ધરપકડ થયેલા આરોપીઓના કેસ કોઇ વકીલ નહીં લડે. આ અંગે વકીલ યુનિયન તરફથી એક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, તેમના વકીલ ઓરેવા કંપનીના 9 આરોપીઓ તરફથી કોઇ કેસ લડશે નહીં.
કેબલ બદલ્યો હોત તો ઝૂલતો પુલ ન તૂટતો
અમદાવાદ સ્થિત ઓરેવા ગ્રુપ ઝૂલતો પુલ ધરાશાયી થયા બાદ લોકોના રડાર પર આવી ગયું છે. આ અગાઉ એવું જાણવા મળ્યું હતું કે, ઝૂલતો પુલ વધુ ભીડને કારણે તૂટી ગયો હતો, પરંતુ તપાસ બાદ સમારકામનું કામ યોગ્ય રીતે થયું ન હોવાનું જાણવા મળ્યું હતું.
જેના કારણે ઝૂલતો પુલ તૂટી ગયો હતો. મંગળવારના રોજ ફરિયાદી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, ઝૂલતો પુલનું માળખું રિપેર કરવામાં આવ્યું હતું, પરંતુ કેબલ રિપેર કરવામાં આવ્યા ન હતા. સમારકામ બાદ માળખું ભારે થઈ ગયું હતું, જેથી ફ્લોરના દબાણને કારણે કેબલ તૂટી ગયો હતો.
26 ઓકટોબરના રોજ ખુલ્લો મૂકાયો હતો ઝૂલતો પુલ
ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલે 26 ઓકટોબરના રોજ રિપેરિંગ કામ બાદ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. રિપેરિંગ કામના કારણે બ્રિજ લગભગ 8 મહિનાથી બંધ હતો.
જયસુખ પટેલે જણાવ્યું હતું કે, ઓરેવાએ નિષ્ણાતોની મદદથી રિનોવેશન માટે રૂપિયા 2 કરોડનો ખર્ચ કર્યો હતો. આમ છતાં 4 દિવસ બાદ જ ઝૂલતો પુલ તૂટી ગયો હતો.
ઓરેવા ગ્રુપના 9 લોકોની ધરપકડ
આ કેસમાં મોરબી પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા ગૃપના બે મેનેજર, ઝૂલતા પુલનું સમારકામ કરતા બે પેટા કોન્ટ્રાક્ટર, સુરક્ષા ગાર્ડ અને ટિકિટ બુકિંગ ક્લાર્ક સહિત નવ લોકોનો સમાવેશ થાય છે. આ ધરપકડ બાદ મેનેજર અને પેટા કોન્ટ્રાક્ટરને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.