ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અમદાવાદમાં આસો મહિનામાં અષાઢી માહોલ, ખેલૈયા દુખી
આસો નવરાત્રીમાં જાણે અષાઢી માહોલ હોય તેવો માહોલ સર્જાતા, વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. પહેલા અને બીજા નોરતે જ અમદાવાદમાં સવારથી વાતાવરણ અને ભરચોમાસુ જામતા આયોજકો સમતે ખૈલયા દુખી થઇ ગયા હતા. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ગરબા આયોજકોને પહેલા દિવસથી જ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે નવરાત્રી આ પ્રકારે ચોમાસાના માહોલથી ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.
અંબાજીના ચાચર ચોકમાં ગરબો હેલે ચઢ્યો
યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીનાં પહેલાં દિવસથી જ માં અંબાનો ચાચરચોક ખેલૈયાઓથી હિલોળે ચઢ્યો હતો. ચાચરચોકમાં વધુ એક મા અંબાની પ્રતિમા બેસાડી જીલ્લા વિકાસ અધિકારીએ માતાજીની આરતી ઉતારી તેમજ દિપ પ્રગટાવી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મૂકાયો હતો. ચાચર ચોકમાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ ગરબે ઘૂમવા ઉમટ્યાં હતા. ગુજરાતી ફિલ્મનાં અભિનેતા અને આલ્બમ ગાયક કલાકારો ખેલૈયાઓને મોજ કરાવતાં નજરે પડ્યાં હતા. જોકે ગરબાની શરૂઆત વાતાવરણના પલ્ટોએ અહીં પણ ખેલૈયાઓની મુશ્કેલી વધારી હતી.
ભાવનગરમાં મનહર ઉધાસના સૂર પર ડોલ્યા ખેલૈયા
ભાવનગરમાં મનહર ઉધાસે પોતાની આગવી શૈલીમાં ગઝલ અને ગીતોની ઝલક અર્પણ કરી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ગઝલ ગાયક સાથે રાસ રમી સૂરોના સથવારે તાલ પર તાલ મેળવી ગરબાની મોજ માણી હતી. આ નવલા નોરતામાં ભાવનગર ગોહીલવાડ સ્ટેટના યુવરાજ પણ ખાસ હાજર રહ્યા હતા અને લોકો સાથે મન મૂકીને રાસ ગરબાની મજા માણી હતી. મનહર ઉધાસે ભાવનગર સાથેના તેમના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે ફિલ્મકાર મનોજ દેસાઈએ આગામી દિવસોમાં ભાવનગરના કલાકારોને લઇને "તક"નામની ગુજરાતી અને બાદમાં હિન્દી ફિલ્મ બનાવશે તેમ પણ જણાવ્યું હતું.
બનાસકાંઠામાં કેનાલમાં ફરીથી ગાબડું, ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં
બનાસકાંઠાના વાવના રણોસરમાં ડિસ્ટ્રીબ્યુશન કેનાલમાં ફરી ગાબડાં પડ્યાં છે. ભાટવર ગામની સીમમાં 10 અને 20 ફૂટના એમ બે ગાબડાં પડ્યાં છે. ખેતરોમાં કાપણી કરેલા ગુવારનાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ છે. કેનાલમાંથી સતત પાણી ખેતરોમાં વહી રહ્યાં છે. 20 એકરથી વધુની જમીનમાં પાણી ફરી વળ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ, વિસ્તારમાં જીવા દોરી સમાન કેનાલો બનાવવામાં આવી છે.. પણ આ કેનાલો ગોઝારી સાબિત થઈ રહી છે અને છાશવારે કેનાલોમાં ગાબડાં પડવાનો સીલસીલો ચાલુ રહે છે. ઉલ્લેખનીય છે કે વારંવાર ગાબડાં પડવા છતા શંકર ચૌધરીએ આ આ વિસ્તારની ક્યારેય મુલાકાત પણ નથી લીધી તેવો ખેડૂતોનો આક્ષેપ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે નવરાત્રી બગાડી
પંચમહાલ ગોધરા સહીત આસપાસ ના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ગરબા ખેલૈયાઓ માં નિરાશા વ્યાપી. આ વખતે 10 દિવસની નવરાત્રી હોવા છતાં પહેલા બે દિવસ વરસાદના કારણે ખેલૈયાઓને બરાબર રીતે રમવા ન મળવાનો વસવસો ખેલૈયાઓના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. તો વળી આયોજકોને પણ મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું.
અમરેલીમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ
અમરેલીમાં આજે 1 કલાકમાં જ 3 ઇંચ વરસાદ પડતા બજારામાં અને રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયું હતું. અને સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું હતું. નોંધનીય છે કે આવનારા સમયમાં પણ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે જેને જોતા સ્થિતિ વધુ વણસે તેવા આસાર છે.
હવામાન ખાતાને જાહેરાત, વરસાદ નવરાત્રી બગાડી શકે છે!
હવામાન ખાતાએ આગાહી કરી છે કે સમગ્ર ગુજરાતમાં આવનારા 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. કચ્છ, ગીરનાર, સુરત, ભાવનગર ખાતે વરસાદી ઝાપડાની સંભાવનાને જોતા વરસાદ નવરાત્રીનો માહોલ બગાડશે તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે નવરાત્રી જ્યારથી શરૂ થઇ છે ત્યારથી ભારે વરસાદે સ્થિતિ બગાડી છે.