દિવાળી પર રાજ્યના મહિલા કેદીઓને 15 દિવસના પેરોલ મળશે!
ગુજરાત સરકારે રાજ્યની જેલમાં બંધ રહેલા કેદીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતની જેલમાં બંધ રહેલા 60 વર્ષથી ઉપરના કેદીઓને રાજ્ય સરકાર દિવાળી ઉજવવા માટે ઘરે જવા પેરોલ આપશે.
ગુજરાત સરકારે રાજ્યની જેલમાં બંધ રહેલા કેદીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતની જેલમાં બંધ રહેલા 60 વર્ષથી ઉપરના કેદીઓને રાજ્ય સરકાર દિવાળી ઉજવવા માટે ઘરે જવા પેરોલ આપશે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘરે પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરત અને જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.
સરકારના આ નિર્ણયને કારણે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા ૬૧ મહિલા કેદીઓ અને ૬૦ વર્ષથી વધુની વયના અંદાજે ૧ર૦ પુરૂષો કેદીઓ સહિત કુલ ૧૮૧ લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એનઆરઆઇ કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.