ખાતરના વધુ ભાવ મુદ્દે પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો, વધુ ભાવ વસૂલાતા હોવાનો આક્ષેપ!
છેલ્લા કેટલાક સમયથી ખાતરના ભાવ વધારાને લઈને સતત બબાલ ચાલી રહી છે. કંપનીઓએ ખાતરના ભાવ વધાર્યા બાદ સરકારે સબસિડીમાં વધારો કરી ભાવ વધારો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી ખાતરના ભાવ વધારાને લઈને સતત બબાલ ચાલી રહી છે. કંપનીઓએ ખાતરના ભાવ વધાર્યા બાદ સરકારે સબસિડીમાં વધારો કરી ભાવ વધારો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. જો કે હવે આ ભાવ વધારો પાછો ખેંચાયા બાદ પણ વધેલા ભાવે જ ખાતર વેચાતું હોવાની ફરીયાદો મળી રહી છે. જેને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પત્ર લખી માંગ કરી છે કે સરકાર યોગ્ય પગલા લે અને ભાવ બાબતે યોગ્ય ચોખવટ કરે, જેથી ખેડૂતોને વધારાના રૂપિયા ન ચૂકવવા પડે. પત્રમાં જણાવ્યા અનુસાર NPK 12:32:16 ખાતરની વધેલા ભાવ પાછા ખેંચાયા બાદ કિંમત 1185 રૂપિયા છે. હવે ફરિયાદો મળી રહી છે કે આ ખાતર 1400 થી 1470 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે. પાલ આંબલિયાએ આ સાથે બિલના પુરાવા પણ સરકારને મોકલ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, NPK 12:32:16 ખાતરના ભાવમાં સરકારે વધારો કર્યો હતો. આ વધારો થયા બાદ વિરોધ થતા ભાવ વધારો પાછો ખેંચવાની ફરજ પડી હતી. જે બાદ કેંદ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આ ભાવ વધારો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ વધારાની ભાવની સબસિડી આપવાની પણ વાત હતી. આ સબસિડી વધારી મુળ ભાવે ખાતર વેચવા આવનાર હતું. પરંતું હવે વધેલા ભાવે ખાતર વેચાતા વિવાદ વધી રહ્યો છે. પાલ આંબલિયાએ વિગતવાર તમામ મુદ્દે સરકારને સવાલ કરી જવાબ માંગ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આગામી સમયમાં આ બાબતે શું પગલા ભરે છે.
ઉલ્લેખનિય છે કે, એક તરફ પેટ્રોલ ડિઝલ અને બીજી તરફ ખાતરના ભાવ વખતા હવે ખેડૂતોમાં રોષ છે. આ બાબતે આગામી સમયમાં હવે રાજનીતિ ગરમાઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર શું પગલા ભરે છે.
પાલ આંબલિયાએ એ પણ સવાલ કર્યો છે કે એક તરફ સરકાર સબસિડી વધારી ભાવ વધારો પાછો ખેંચી રહી છે તો બીજી તરફ કંપનીઓ સરકાર ઉપરવટ જઈને કરોડો રૂપિયાની સબસિડી લીધા બાદ પણ મોંધા ભાવે ખાતર કેમ વેચી રહી છે? હવે આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ મુદ્દો ગરમાઈ શકે છે.