પંચમહાલના મીરાપુરીમાંથી મળી આવ્યું મહિલાનું હાડપિંજર, સર્જાયા અનેક તર્કવિર્તક
પંચમહાલમાં મળી આવ્યું મહિલાનું હાડપિંજર. મહિલાની હત્યા થઇ હોવાની આશંકાના આધારે પોલીસે દાખલ કરી ફરિયાદ. વધુ વાંચો.
પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલના મીરાપુરીમાંથી મહિલાનું હાડપિંજર મળી આવતા સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ નજીક આવેલા મીરાપુરી નજીકની અવાવરૂ જગ્યામાંથી આ હાડપિંજર મળી આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીના પ્રેમીએ જ તેની હત્યા કરી છે અને આ યુવતી મીરાપુરી નજીકના શેરપુરા ગામની હોવાની શક્યતા છે. હાડપિંજર મળી આવતા યુવતીએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પણ સેવવામાં આવી રહી હતી. જોકે સ્થાનિકોની પૂછપરછ દ્વારા પોલીસને માહિતી પ્રાપ્ત થઈ હતી કે આ આત્યહત્યા નહીં પરંતુ હત્યા છે. મૃતક યુવતી અને એક યુવક વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ તેના પ્રેમીને શંકા હતા કે યુવતીના અન્ય આડા સંબંધો છે.
આથી યુવકે જ અવાવરું જગ્યાએ લઈ જઈને તેને સળગાવીને હત્યા કરી હતી. આ શંકાના આધારે પોલીસે ગુને નોંધીને તપાસને આગળ વધારી છે. જે શંકાસ્પદ છે તેના મિત્રો તથા પરિવારને પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. સાથે જ મળી આવેલા હાડપિંજરને પોલીસે ફોરેન્સિકમાં તપાસ માટે પણ મોકલી આપ્યું છે. તેના આધારે ખબર પડશે કે યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના એક મહિના પહેલા ઘટી હશે. તેના કારણે કંકાલમાં ઘણા અવશેષો હજી ઓગળવાના બાકી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આ ઘટનામાં આગળની કાર્યાવાહી હાથ ધરી શકશે.