Patan Accident: પાટણમાં અકસ્માત, નહેરમાં ખાબકી કાર, 4 લોકોના મોત
Patan Accident: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી ગામમાં બુધવારના રોજ સવારે માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તમામ લોકો એક જ પરિવારના સભ્ય હતા, આ પરિવાર લગ્ન સમારોહમાં જઇ રહ્યા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની 2 પુત્રીનો સમાવેશ થાય છે.
રસ્તા પર વન્ય પ્રાણીઓના અચાનક આગમનને કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હતો, અને કાર નજીકની કેનાલમાં પડી હતી. મૃતકોમાં મહેન્દ્રભાઈ જોષી (પતિ), ભાવના જોષી (પત્ની), દિશા જોશી (પુત્રી), ઉર્વશી જોષી (ભત્રીજી)નો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, સાંતલપુર તાલુકાના ફાગલીના રહેવાસી અને મુંબઈમાં કાયમી વસવાટ કરતા જોષી પરિવાર 5 દિવસ પહેલા તેમના ભત્રીજાના લગ્ન માટે મુંબઈથી તેમના ગામ આવ્યો હતો. 14મી ડિસેમ્બરના રોજ કચ્છમાં ભત્રીજાના લગ્ન હતા.
આ માટે જોષી પરિવાર બુધવારની સવારે કારમાં કચ્છથી ફાગલી જવા નીકળ્યો હતો. આ દરમિયાન ફાગલી ગામથી થોડે દૂર રસ્તા પર અચાનક એક જંગલી પ્રાણી દેખાયું હતું. તેને બચાવવાના પ્રયાસમાં કાર કાબૂ બહાર નીકળી ગઈ, અને નજીકની કેનાલમાં પડી ગઇ હતી.
કાર કેનાલમાં ખાબકતાં કારમાં મુસાફરી કરી રહેલા પતિ-પત્ની અને બે પુત્રીઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. ઘટના બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકો તરફથી માહિતી મળતા, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.
એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ હાર્દિક પરમારે જણાવ્યું હતું કે, જોષી પરિવાર તેમના ભત્રીજાના લગ્નમાં જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં કાર એક જંગલી પ્રાણી સાથે અથડાઈ હતી. નજીકની કેનાલમાં પડી હતી, જે બાદ ડૂબી જવાના કારણે ચાર લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
