પાટીદારો સાથે વાતચીત, સરકારનો વધુ એક પ્રયાસ કે દેખાડો?
પાટીદારો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે રૂપાણી સરકાર. પણ શું આ વાટાઘાટો સરકારનો એક સાચો પ્રયાસ છે કે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાનો રાજકીય દાવપેચ? જાણો આ અંગે વિગતવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તે પહેલા સરકાર તેવું ચોક્કસથી બતાવવા માંગે છે કે તેમણે પાટીદાર અનામત આંદોલનનો પ્રશ્ન હલ કરવાનો તેમના તરફથી બનતો પ્રયાસ કર્યો છે. અને કદાચ આ જ કારણે સરકારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓ સાથે ચર્ચાની તૈયારી બતાવી છે. જેથી કરીને પાટીદાર અનામત મામલે કોઇ યોગ્ય ઉકેલ આવી શકે. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બની રહ્યું આ પહેલા પણ આનંદીબેનના સમયે અને તે પછી રૂપાણી સરકારના વખતે પણ નીતિન પટેલની હાજરીમાં પાટીદાર આગેવાનો સાથે સરકારે ચર્ચા કરી છે. તેમની સાથે મુદ્દાઓ મૂક્યા છે અને પરિણામ શૂન્ય કરતા કંઇક વિશેષ હજી સુધી નથી આવ્યું. ત્યારે સવાલ તે ઊભા થાય છે કે શું સરકાર ખરેખરમાં ચૂંટણી પહેલા પાટીદારોને પોતાના પક્ષમાં લેવા જઇ રહી છે કે પછી ચૂંટણી પહેલા સરકાર એક દેખાડો કરી લેવા માંગે છે કે ભાઇ અમે તો પ્રયાસ કર્યો હતો? આ બન્ને સ્થિતિમાં જો કોઇનો સીધો ફાયદો થશે તો તે માત્રને માત્ર ભાજપ સરકારનો છે કેવી રીતે જાણો અહીં.
પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જોતા જો ભાજપ પ્રયાસના નામ પર પણ જો પાટીદાર નેતાઓ જોડે બે-ચાર મીટિંગ કરી લે છે. તો થોડા સમય સુધી તે પાટીદારોને વ્યસ્ત રાખશે. વધુ એક વાર ભૂલથી માની પણ લઇએ કે સરકાર આ વાતનું નિરાકરણ લાવવા માંગે છે અને જો તે તેમાં સફળ રહી તો ચૂંટણી વખતે ભાજપને એક મુદ્દો મળી જશે જુઓ અમે પાટીદારોને મનાવી લીધા અને તેમને વોટ પણ મળી છે. જો કે આ એટલું સરળ છે નહીં પણ ધારો કે માની લઇએ તો પણ તે સરકારના ફાયદામાં જ રહેશે.
દેખાડો?
તો બીજી તરફ તેને સરકારનો દેખાડો જ માનીએ તો પણ સરકારને લાભ તો મળશે. સરકાર ચૂંટણી વખતે કહી શકશે કે અમે તો પાટીદારોને મનાવવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા પણ પાટીદારો જ ના માન્યા. આમ કહીને પણ તે પોતાનો ફાયદો કરાવી લેશે.
શું છે મામલો?
જો કે નીતિત પટેલ દ્વારા ચર્ચાએ વધુ એક અવસર આપવા મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ સ્પષ્ટતા આપી છે કે સરકાર અમારી ચાર માંગો છે અને તે જો સરકાર સ્વીકારતી હોય તો ઠીક છે બાકી ખાલી ચર્ચા કરવામાં અમને કોઇ રસ નથી. આ ચાર માંગણીઓ આ મુજબ છે.
1.આર્થિક અનામત
2.શહીદ પરિવારને સરકારી નોકરી
3.પાટીદારો પર ચાલી રહેલા પડતર કેસોનો નિકાલ
4. પટેલો પર અત્યાચાર કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા.
લાલજી પટેલ
વધુમાં એસપીજીના લાલજી પટેલે તો ત્યાં સુધી કહ્યું છે કે સરકાર લેખિતમાં આમંત્રણ આપશે તો જ જઇશું. બીજી તરફ નીતિન પટેલે જે જાહેરાત કરી છે તેમાં તેમણે હાર્દિક પટેલનું નામ લીધા વગર ખોડલધામ અને ઊમિયા ધામ જેવા સંગઠનોની વાત ઉચ્ચારી છે. આમ જોવા જઇએ તો ચૂંટણી પહેલા ભાજપ ફરી એક વાર પાટીદારોને પોતાની સાથે રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે.