ગુજરાતનો વિકાસ રૂંધવાનો પ્રયાસ કરનાર તત્વોને ગુજરાતની જનતા જાકારો આપશેઃ અમિત શાહ
નર્મદા યોજનાને રોકવાનો પ્રયાસ કરનાર, ગુજરાતનો વિકાસ રૂંધવાનો પ્રયાસ કરનાર તત્વોને ગુજરાતની જનતા જાકારો આપશેઃ અ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતના વિરોધીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓના સ્વભાવમાં નથી. દાયકાઓ સુધી ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર નર્મદા યોજનાને ઘોંચમાં નાખનાર અને સમગ્ર ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખનાર નર્મદા વિરોધી મેધા પાટકર કે જેઓ ૨૦૧૪ માં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચુક્યા છે, તેમને આમ આદમી પાર્ટી દ્વારા નેતા બનાવવાના પ્રયત્નોની સખત શબ્દોમાં ઝાટકણી કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, મેધા પાટકરે દાયકાઓ સુધી ગુજરાતની જીવાદોરી એવી નર્મદા યોજનાનો વિરોધ કર્યો, ગુજરાતનો વિરોધ કર્યો અને હવે પાછલા બારણેથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ મેધા પાટકર જેવા ગુજરાત વિરોધી તત્વોને ગુજરાતની જનતા સારી પેઠે ઓળખે છે. એટલે ગુજરાત વિરોધી તત્વોની કારી ક્યારેય ફાવવાની નથી.
અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે 36 મા રાષ્ટ્રીય રમતોત્સવના કર્ટન રેઝર સમારોહમાં બોલતાં અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ગુજરાત વિરોધીઓનું મહિમા મંડન ગુજરાત અને ગુજરાત સરકાર ક્યારેય નહીં થવા દે. ટ્રાન્સસ્ટેડિયામાં ખીચોખીચ ભરાયેલી જનમેદનીએ પણ અમિતભાઈ શાહના સુરને પ્રચંડ પ્રતિસાદ આપીને સિંહનાદ સાથે વધાવી લીધો હતો.