PMના રોડ શોને કોંગ્રેસે કહ્યો આચાર સંહિતાનો ભંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાણીપ ખાતેના રોડ શો પર કોંગ્રેસે કર્યા સવાલ. કોંગ્રેસની ફરિયાદ આ આચાર સંહિતાનો ભંગ છે. ચૂંટણી પંચ અંગે પણ કોંગ્રેસે શું કહ્યું જાણો અહીં.
ગુરુવારે, અમદાવાદના રાણીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું. જે બાદ હાજર જનતાનું અભિવાદન જીલતા, કારમાં બહાર ઊભા રહીને પીએમ મોદી ત્યાંથી પસાર થયા. આ મામલે કોંગ્રેસે ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં એક પ્રેસવાર્તા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું કે મતદાન કેન્દ્રની બહાર પીએમ મોદીનો આ રોડ શો ચૂંટણીની આચાર સંહિતાના નિયમોનો ભંગ છે. સાથે જ તેણે ચૂંટણી પંચ દબાણ હેઠળ કામ કરી રહ્યું છે તેવો આરોપ પણ લગાવ્યો.
તો કોંગ્રેસના નેતા સુરજેવાલાએ આ પ્રેસ કોન્ફર્ન્સમાં કહ્યું કે પીએમ એ આચાર સંહિતાની ઘજીયા ઉડાવી છે. અને ચૂંટણી પંચ કઠપૂતળી બનીને પીએમના કહ્યા મુજબ ચાલી રહી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીના ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ મામલે ભાજપે બુધવારે આચાર સંહિતાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધી હતી. જે બાદ ચૂંટણી પંચે તે ઇન્ટરવ્યૂનું પ્રસારણ રદ્દ કરી ફરિયાદ કરી હતી. તે પછી આચાર સંહિતાના આરોપ પ્રત્યારોપ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો દ્વારા હાલ લગાવવામાં આવી રહ્યા છે. જેના લીધે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.