તમે તો ગુરુ ગુમાવ્યા છે, મેં પિતા ગુમાવ્યા છે; રડી પડ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયેલા પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહના દર્શન કરી ભાવુક બન્યા હતા. ભીની આંખે રડી પડેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે "તમે બધાએ તો કદાચ ગુરુ ખોયા છે મેં તો પિતા ખોયો છે!"
વધુમાં નરેન્દ્ર મોદી કહ્યું કે પ્રમુખ સ્વામી જેવો કોઇ ઉત્તમ શિષ્ય અને ઉત્તમ ગુરુ હોઇના શકે. તે એક ઉત્તમ પથદર્શક હતા. પ્રમુખ સ્વામીજી જોડે પોતાની ધનિષ્ઠતા પર બોલતા મોદીએ કહ્યું કે તેમણે મોદીની પુત્રની જેમ ડગલે પગલે સિંચન કર્યું છે.
મોદી રાજકારણમાં નવા હતા અને તેમણે જ્યારે પહેલી વાર શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ત્યારે તે બાદ પહેલો ફોન પ્રમુખ સ્વામીનો આવ્યો હતો તેવું મોદીએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે બાપા અનેક વાર તેમના વીડિયો મંગાવતા અને પછી બે ત્રણ દિવસ પછી ફોન કરીને ટકોર કરતા કે શાસક તરીકે તારે આવા શબ્દોનો ઉપયોગ ના કરવો જોઇએ.
નોંધનીય છે કે અત્યાર સુધીમાં લગભગ 10 લાખ ભક્તોએ બાપાના દર્શન કર્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીના કારણે અહીં ચાંપતો પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. વધુ જાણો અહીં.
નરેન્દ્ર મોદીએ કર્યો બાપાના દર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ હેલિકોપ્ટર દ્વારા અમદાવાદથી સાળંગપુર પહોંચી પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે મોદી ખુબ જ ભાવુક થઇ ગયા હતા. અને તેમણે કહ્યું હતું કે સ્વામીજી જ હતા જે મને ટોકતા હતા.
મોદીના દર્શનના કારણે હરિભક્તોના દર્શન બંધ
જો કે વડાપ્રધાનની સુરક્ષા વ્યસ્થાને જોતા હાલ સાળંગપુર ખાતે અન્ય હરિભક્તોના દર્શન થોડીક વાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક હરિભક્તો અટવાઇ પડ્યા છે.
સંજય જોશીએ પણ કર્યા દર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સવારે ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીએ પણ પ્રમુખ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતા. વધુમાં સાંજ સુધીમાં બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન પણ બાપાના દર્શન કરવા માટે આવવાના છે .
17મી તારીખે થશે અંતિમ વિધિ
નોંધનીય છે કે હાલ પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહને શ્રદ્ધાળુઓના અંતિમ દર્શન માટે કાચની ખાસ પેટીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જે બાદ 17મી તારીખે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
10 લાખ વધુ લોકો ઉમટ્યા દર્શન માટે
સ્વામીનારાયણ પંથના આધ્યાત્મિક વારસદાર તેવા પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થવાથી સમગ્ર સ્વામીનારાયણ પંથ શોકમય થયો છે. ત્યારે અત્યાર સુધીમાં લગભગ 10 લાખથી વધુ લોકોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.