ગુજરાતમાં બસપાની 'માયા', કોંગ્રેસ અને ભાજપની ઝાટકણી કાઢી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચુંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસ અને ગુજરાતમાં ભાજપ સરકાર કેટલાક ઉદ્યોગપતિની આર્થિક મદદથી સત્તામાં આવી છે તેમની નિતીઓ કોર્પોરેટની મદદગાર છે. માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ગરીબો અને દલિતો સુખી થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ સરકારે એવી કોઇ કોઇ આર્થિક સામાજિક સ્થિતી બનાવી નથી. ને તેથી જ નકસલવાદ જેવી સમસ્યાઓ વિકરાળ બની છે.
આજે પણ આ દેશમાં અને ગુજરાતમાં અનુસૂચિત જાતિ,જનજાતિ, મુસ્લિમો ગરીબીમાં જીવી રહ્યાં છે. જ્યાં જ્યાં આદિવાસીઓ છે,જંગલો છે ત્યાં મોટી જમીનો સરકારોએ તેઓ પાસેથી સસ્તા દરે ખરીદીને મૂડીવાદીઓ-ઉદ્યોગપતિઓને સસ્તાભાવે વેચી દીધી છે.તેથી આવા લોકો રોજીરોટી માટે ભટકી રહ્યાં છે
ડૉ.આંબેડકરે બંધારણમાં અનામતની જે વ્યવસ્થા કરી હતી તેને તોડી પાડવામાં આવી છે. જે લોકો અપરકલાસના છે છતાં ગરીબ છે તેમને પણ અનામતનો લાભ નોકરીમાંમળવો જોઇએ તેવું અમે કેન્દ્ર સરકારને અનેકવાર લેખિતમાં સૂચવ્યું છે પરંતુ તેનો અમલ થતો નથી. દેશમાં જ્યાં જ્યાં નકસલવાદ જેવી સમસ્યા છે ત્યાં સરકારોની આવી નીતિઓ જવાબદાર છે.
કેન્દ્ર સરકારના શાસનમાં મોંઘવારી વધી છે અને જેની સીધી અસર ગરીબો પર વધારે પડી છે. ગુજરાતમાં જે વિકાસ મૂડીવાદીઓનો થયો છે તેને બદલે આમ આદમીઓનો થવો જોઇએ. ગુજરાત સહિત દેશમાં ગરીબી હટાવવાની વાતો થઇ રહી છે પરંતુ અહીં ગરીબી દૂર થઇ નથી. ગુજરાતમાં તો ભ્રષ્ટાચાર વધ્યો છે.
બહુજન સમાજ પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચુંટણીની કુલ 182 સીટોમાંથી 163 સીટો પર પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ઉત્તર પ્રદેશમાં હાલ જે કોમી રમખાણોના મુદ્દે સપા સરકાર પર હુમલો કરતાં માયાવતીએ કહ્યું હતું કે તેમના શાસનકાળ દરમિયાન ઉત્તરપ્રદેશમાં આ પ્રકારની ઘટનાઓથી મુક્ત રહ્યું હતું. પોતાના શાસનકાળ દરમિયાન બસપાએ સાંપ્રદાયિક એકતા બનાવી રાખી હતી અને કોમી હુલ્લડો થયા ન હતા.