વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ગુજરાતને વધુ એક ભેટ
વિશ્વના સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જામનગરમાં સ્થાપના થશે.
વિશ્વના સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જામનગરમાં સ્થાપના થશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે આપેલી મંજૂરી માટે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે, જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે.
જામનગરમાં સ્થાપાનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે, તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.
આ સાથે WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે, તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.
વડાપ્રધાન મોદીએ આ અગાઉ 13 નવેમ્બર, 2020 ના રોજ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે એક ભેટ આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, હવે આ WHO GCTM ની વધુ એક નવતર ભેટ દ્વારા વડાપ્રધાન મોદીએ જન આરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાની નવી દિશા ખોલી આપી છે.