રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મેના અંતમાં આવશે ગુજરાત, ચાર ઝોનમાં થશે બેઠકોનુ આયોજન
ગુજરાતમાં હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓના પ્રવાસ થવાના છે.
અમદાવાદઃ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર પૂરી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીઓને પગલે ગુજરાતમાં હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓના પ્રવાસ થવાના છે. ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો મળે અને ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો તે મુદ્દે રણનીતિ ઘડવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસ ચાર ઝોનમાં ચાર વિશાળ સંમેલન યોજવા જઈ રહ્યુ છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં 19 મે, દક્ષિણ ઝોન માટે સુરતમાં 21 મે, મધ્યઝોનમાં વડોદરામાં 22 મે અને ઉત્તર ઝોનમાં મહેસાણામાં 23મીએ બેઠકો યોજાશે. આ બેઠકોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખાસ ઉપસ્થિત રહેશે. સાથે સાથે કોંગ્રેસે એ પણ નક્કી કર્યુ છે કે વર્ષ 2017ની પેટર્નતી ગુજરાત કોંગ્રેસ ચૂંટણી કેમ્પેઈન કરશે. કોંગ્રેસની આ બેઠકમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક નેતાઓ કુલ મળીને પંદરસો-બે હજાર આગેવાનો હાજર રહેશે.
ઉત્તર પ્રદેશની જેમ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પણ હાજર રહીને પ્રચાર કરશે. માહિતી મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા ત્યારે તેમની આગેવાનીમાં કોંગ્રેસે 99 બેઠકો મેળવી હતી. તેને જોતા કોંગ્રેસ હાઈ કમાન્ડે વર્ષ 2017ની પેટર્નના આધારે ચૂંટણી પ્રચાર કરવાનુ નક્કી કર્યુ છે. વળી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને જિલ્લાઓ અને બેઠક મુજબ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાતના ગામડા-શહેરોમાં ફરીને મતદારો સાથે સીધો સંપર્ક કરવા ચૂંટણીલક્ષી આયોજન કરવામાં આવ્યુ છે.