રાજકોટ: CMના બંગલે ધમાલ, કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂની અટકાયત
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પર હુમલો થયો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સમર્થકો સાથે મુખ્યમંત્રીના બંગલે પહોંચ્યા. આ અંગે વધુ વાંચો અહીં.
શનિવારે રાત્રે રાજકોટમાં રાજકારણીય વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પર હુમલો થયો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સમર્થકો સાથે મુખ્યમંત્રીના બંગલે પહોંચ્યા હતા અને ત્યાં ભારે ધમાલના દ્રષ્યો સર્જાયા હતા. ભીડને નિયંત્રણમાં લેવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને ભીડમાં મહિલાઓ પણ હતી. મુખ્યમંત્રીના બંગલે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. પોલીસે રાત્રે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને મિતુલ દોંગા સહિત ત્રણની અટકાયત કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જરૂર જણાયે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. રવિવારે રાજકોટમાં પીએમ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કોંગ્રેસના આગેવાને ચીમકી આપી હતી કે, તેઓ રાજકોટમાં આ સભા નહીં થવા દે. મોડી રાત્રે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી પણ પોલીસ હેડક્વોર્ટર પહોંચ્યા હતા. તેમણે સતત કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાની જિદ્દ પકડતા આખરે પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. પોલીસે કરેલ લાઠીચાર્જનો ભોગ પત્રકારો પણ બન્યા હતા. પત્રકારોએ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરી હતી અને રોષે ભરાયેલા પત્રકારો હેડક્વાર્ટર પાસે જ ધરણા પર બેસી ગયા હતા.
શું છે મામલો?
શનિવારે રાત્રે રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલ રાજ્યગુરૂ પર જીવલેણ હુમલો થયો હતો. કહેવાઇ રહ્યું છે કે, દિવ્યનીલ રાજ્યગુરૂ ભાજપના પોસ્ટર ઉતારી રહ્યાં હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને મોઢા પર અને માથામાં ઇજા થઇ હતી. આ ઘટના બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને તેમના ટેકેદારો મુખ્યમંત્રીના બંગલે પહોંચ્યા હતા અને ત્યાં ભારે હંગામો થયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, તેમની સામે ટક્કર લેવા જ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આ બેઠક પરથી ચૂંટણી લડનાર છે.