આજે સાંજથી કેજરીવાલની ગુજરાત યાત્રા શરૂ, જાણો આખો કાર્યક્રમ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ન નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. જે માટે 14મી સાંજથી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે. અને 16મી ઓક્ટોબર સુધી ગુજરાતની મહેમાનગતિ સ્વીકારશે. જો કે તે વાત તો બધા જ જાણે છે કે કેજરીવાલની આ રાજકીય મુલાકાતમાં આપની નજર 2017ની ચૂંટણી પર છે.
આ વાત અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં પણ સ્પષ્ટ રૂપે દેખાય છે. અરવિંદ કેજરીવાલ તેમના આ બે દિવસના કાર્યક્રમમાં પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ત્યારે શું છે કેજરીવાલનો આખો કાર્યક્રમ. આ ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલ કોને કોને મળશે. અને કેવી રીતે ગુજરાતના રાજકારણમાં કેજરીવાલની આ મુલાકાત ગરમાવો લાવશે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવો અહીં...

હમ સાથ સાથ હૈ
જે રીતે હાર્દિક પટેલના ટ્વિટને અરવિંદ કેજરીવાલ રીટ્વિટ કરી રહ્યા છે. અને સાથે જ મહેસાણામાં પણ જે રીતે શહીદોના પરિવારને મળવા માટે અરવિંદ કેજરીવાલની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે જોતા સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ અને અરવિંદ કેજરીવાલ એક બીજાના ફુલ સપોર્ટમાં છે.

કેજરીવાલનો કાર્યક્રમ
14મી સાંજે કેજરીવાલ અમદાવાદથી મહેસાણા જશે જ્યાં મહેસાણા ઊંઝા ખાતે શહીદ થયેલા પાટીદાર યુવાનોને મળશે. સાથે જ ઊંઝા ખાતે માતાજીના દર્શન પણ કરશે. તો 16મી ઓક્ટોબરના રોજ તે વડોદરાથી સુરત પહોંચશે. જ્યાં તે જનસભાને સંબોધશે. ત્યાંથી તે પરત દિલ્હી રવાના થશે.

2017ની ચૂંટણી
કેજરીવાલની આ યાત્રા 2017ની ચૂંટણીને નજરમાં રાખીને છે. માટે જ તેમની આ યાત્રા દરમિયાન તે ખેડૂતો અને વેપારીને મળવાની સાથે પાટીદારોના દિલ જીતવાનો પ્રયાસ કરશે.

કેજરીવાલનો આરોપ
જો કે જે રીતે ગુજરાતભરમાં કેજરીવાલની યાત્રા પહેલા કેજરીવાલ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તે અંગે આપે ભાજપ તરફ આંગળી ચીંધી છે. જો કે તે વાત તો સ્પષ્ટ છે કે કેજરીવાલની આ યાત્રા ગુજરાત રાજકારણમાં ગરમાવો જરૂરથી લાવશે.












Click it and Unblock the Notifications
