હાર્દિક નામના બહુરૂપિયાને સમાજ ઓળખે: રેશ્મા પટેલ
પૂર્વ મહિલા પાસ કન્વીનર અને ગત અઠવાડિયે જ ભાજપમાં જોડાયેલ રેશ્મા પટેલે મંગળવારે બપોરે પત્રકાર પરિષદ સંબોધી હતી.
સોમવારે રાત્રે પૂર્વ પાસ કન્વીનર અને ગત અઠવાડિયે જ ભાજપમાં જોડાયેલ પાટીદાર નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જો કે, આ પત્રકાર પરિષદમાં પાટીદારો દ્વારા હોબાળો થતાં પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસને બોલાવવાનો વારો આવ્યો હતો અને કારણે પત્રકાર પરિષદ સંકેલી લેવી પડી હતી. ત્યાર બાદ મંગળવારે બપોરે ફરી એકવાર રેશ્મા પટેલની પત્રકાર પરિષદ યોજાઇ હતી. અહીં રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા તથા ભાજપમાં જોડાવાથી માંડીને અનામતની લડાઇ અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
હાર્દિક પટેલ પર પ્રહારો
રેશ્મા પટેલે કહ્યું કે, 'હાર્દિક પટેલે અશોક ગહેલોતને મળવાની વાત સ્વીકારી છે, પરંતુ આમ કરતાં તેમને શરમ ન આવી? તમારે સામેથી એમની પાસે જવું પડ્યું? તેઓ સમાજનો હીરો બનવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે સમાજમાં જે ખોટી છબી ઊભી કરી હતી, તેનો ભાંડો ફૂટ્યો છે. તેમણે સામેથી કોંગ્રેસ પક્ષ પાસે જવું પડ્યું, જેમણે હજુ સુધી એ સ્પષ્ટતા પણ નથી કરી કે તેઓ પાટીદાર સમાજને શું આપશે?'
હાર્દિકના હાથમાં જોવા મળતી બેગ અંગે જવાબ આપો
'અશોક ગેહલોત ટ્વીટ કરીને લખે છે કે, ત્રણેય યુવા નેતાઓ(હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી) સાથેની મુલાકાત સારી રહી. ત્યારે મારે એમને પૂછવું છે કે, મેં સમાજને માંગણીને લગતો જે પત્ર એમને લખ્યો હતો, એનો જવાબ આપવાનો તેમને યોગ્ય નથી લગાતો? મને નહીં તો સમાજને જવાબ આપવો હતો. આટલું લખ્યું તો, હોટલમાંથી નીકળતા હાર્દિકના હાથમાં જે બેગ જોવા મળે છે એના પર પણ કંઇ જવાબ આપવો હતો. સમાજને કહેવા માંગુ છું કે, બહેરૂપિયાને ઓળખી સામજનું હિત શેમાં છે એ જોજો. કોંગ્રેસના એજન્ટ બની જે સમાજને વેચવા નીકળ્યા છે એનાથી બચજો.'
ભાજપમાં શા માટે જોડાયા?
'આનંદીબહેનની જાહેરાત બાદ પણ અમારી કેટલીક માંગણીઓ અધૂરી હતી, આથી અમે લડતા રહ્યાં. ઓબીસી આરક્ષણ બંધારણીય રીતે શક્ય નથી, એ વાત છતાં લડતાં રહ્યાં, કારણ કે એ આંદોલનકારીનો સ્વભાવ છે. અનામત સિવાયની અમારી અધૂરી માંગણીઓ 26 તારીખે સંતોષાઇ. સરકારે જે આપ્યું છે તે સમાજના હિતમાં છે, સમાજ માટે ફાયદાકારક છે અને એ સ્વીકારી સમાજને સાચો અરીસો બતાવતાં આ પક્ષમાં જોડાવું યોગ્ય રહેશે, એમ વિચારી ભાજપમાં જોડાયા.'
અનામતની લડાઇ
'હવે જેઓ આંદોલન કરી રહ્યાં છે, એમને કહો કે આંદલોન બચ્યું જ નથી. આ તો તેમની રાજનીતિ છે અને તે પણ માત્ર કોંગ્રેસ માટેની રાજનીતિ છે. એમને પૂછો કે શું કોંગ્રેસ ઓબીસી આરક્ષણ આપવા તૈયાર છે? અમારી લડાઇ પણ અનામત માટેની જ લડાઇ હતી. એનો એ અર્થ નહોતો આંદોલનની આડમાં અમે કોંગ્રેસને જીતાડી દઇએ, કોંગ્રેસમાં વેચાઇ જઇએ. રાજનીતિ કરવી કોઇ ખોટી વાત નથી, પરંતુ રાજનીતિ કરવી હોય તો ખુલીને કરો. કાયદાકીય રીતે અનામતની લડાઇ હશે તો એમાં આજે પણ હું સહભાગી થવા તૈયાર છું.'