CNG PNGમાં ભાવવધારા સામે રિક્ષા ચાલકો હડતાલ કરશે
સીએનજી પીએનજીમાં તોતિંગ ભાવ વધારા સામેના વિરોધમાં અમદાવાદના સવા લાખ જેટલા રિક્ષા ડ્રાઈવરો 17 જાન્યુઆરી, 2013 ગુરુવારે મધરાતથી 72 કલાકની હડતાળ પર ઉતરવાના છે. જેથી શુક્રવાર શહેરના લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડશે એવી ધારણા છે.
આ અંગે અમદાવાદમાં આવેલા ઓટો એક્શન કમિટીના કન્વીનર અશોક પંજાબીએ જણાવ્યું કે "આટલો ભાવ વધારો રિક્ષા ચાલકોને પોસાઇ શકે તેમ નથી. અમે ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી છે. બધા રિક્ષા એસોસિએશને નક્કી કર્યું છે કે જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો સમગ્ર રાજ્યમાં રિક્ષા ચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે."
બીજી તરફ ગુજરાતમાં સીએનજી અને પીએનજીના ભાવવધારા સામે કોંગ્રેસે પણ વિરોધ નોંધ્યાવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ જણાવ્યું છે કે "અદાણીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપેલા ફંડના વળતર પેટે ગુજરાતની ભાજપ સરકારે ભાવવધારો કરવા દીધો છે."
અદાણી એનર્જી કંપની દ્વારા સીએનજીના ભાવમાં રૂપિયા 7.15 અને પીએનજીમાં સાત રૂપિયાનો તેમ જ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન દ્વારા સીએનજીના ભાવમાં રૂપિયા 6.70 અને પીએનજી (ડોમેસ્ટિક)ના ભાવમાં રૂપિયા 3.32નો વધારો કર્યો છે.
મોઢવાડિયાએ આક્ષેપમાં જણાવ્યું કે "અત્યાર સુધીમાં 33 વખત ભાવવધારો થયો હોવા છતાં ભાજપ સરકાર હરફ ઉચ્ચારતી નથી અને પેટ્રોલમાં ભાવવધારો થાય તો હોબાળો મચાવે છે. ભાજપ સરકારે સીએનજી અને પીએનજીમાં કમરતોડ ભાવવધારો કરીને છ કરોડ ગુજરાતીઓ સાથે છેતરપિંડી કરી છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં આઠ મહાનગરોમાં કાલે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે."