રશિયા-યુક્રેન તણાવથી ગુજરાતના વાલીઓ ચિંતામાં, કહ્યુ - અમારા બાળકોને એર લિફ્ટ કરી ઘરે પાછા લાવો
રશિયા દ્વારા યુક્રેન પર 16 ફેબ્રુઆરીએ હુમલો કરવાના તોળાઈ રહેલા જોખમ વચ્ચે વાલીઓનુ એક ગ્રુપ ગાંધીનગરમાં સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યુ
અમદાવાદઃ રશિયા દ્વારા યુક્રેન પર 16 ફેબ્રુઆરીએ હુમલો કરવાના તોળાઈ રહેલા જોખમ વચ્ચે વાલીઓનુ એક ગ્રુપ ગાંધીનગરમાં સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યુ અને યુક્રેનની કૉલેજોમાં ભણી રહેલા તેમના બાળકોની સલામત રીતે ઘરે પાછા લાવવા માટે ભલામણ કરી. મુખ્યમંત્રી હાજર ન હોવાના કારણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે તેમની મુલાકાત થઈ હતી. માતાપિતાએ કેન્દ્ર સરકારને રજૂઆત પહોંચે તેવી ભલામણ કરી હતી.
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી વધી છે ત્યારે ગમે તે સમયે ભીષણ યુદ્ધ થવાની સંભાવના છે ત્યારે યુક્રેનમાં ઉત્તર ગુજરાતના જ 50 વિદ્યાર્થીઓ મેડીકલમાં અભ્યાસ કરી રહ્યા છે. અમુક વાલીઓએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને તેમના સંતાનો હેમખેમ ઘરે પાછા આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા ભલામણ કરી હતી. અમદાવાદ-વડોદરાથી યુક્રેનના ભાડામાં પણ તોતિંગ વધારો થયાનુ જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઓછા માર્કસ આવે એટલ રશિયા, ફીલિપીન્સ, યુક્રેન, ચીન ખાતે મેડીકલમાં અભ્યાસ માટે જતા હોય છે. દર વર્ષે યુક્રેનમાં પણ રાજ્યના ઘણા બધા વિદ્યાર્થીઓ મેડીકલમાં પ્રવેશ મેળવી અભ્યાસ માટે જતા હોય છે પરંતુ છેલ્લા પંદર દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ વધુ તંગ બની છે. ગમે તે સમયે બંને દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના છે. અનેક દેશોઓ પોતાના દૂતાવાસમાંથી ડેલીગેશનને પરત ફરવા જણાવ્યુ છે. આ સંજોગમાં મેડીકલમાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓ પણ ચિંતામાં આવી ગયા છે.
અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠાના 50થી વધુ છાત્રો યુક્રેનેની કોલેજોમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યા છે. રશિયા-યુક્રેન વચ્ચે સ્થિતિ તંગ થથા વિમાન સેવાઓ બંધ થઈ ગઈ છે. આ સંજોગોમાં ઉત્તર ગુજરાતના મેડિકલના છાત્રો સલામત રીતે પાછા ફરે તેવી વાલીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.