'જમીન તો જોઇશે જ' નારા સાથે બહુજનોએ ગાંધીનગરમાં કર્યુ વિશાળ જનસંમેલન
જમીન માટે ગાંધીનગરમાં બહુજનોનું જનસંમેલન
રાજ્યના મુખ્યમથક ગાંધીનગર ખાતે રાજ્યભરના દલિત અને આદિવાસી સમુદાયે જમીન અધિકાર સંમેલન યોજ્યું હતું. જેમાં રાજ્યની અઠ્યાવીસ જેટલી દલિત આદિવાસી સમુદાયના ઉત્થાન માટે કામ કરતી એનજીઓ અને સામાજીક સંગઠનો સામેલ થયા હતા. આ જમીન અધિકાર સંમેલનમાં રાજ્યના જમીન વિહોણા દલિત-આદિવાસી સમાજને જમીન આપવા માંગ કરી હતી.
જમીન વિહોણા લોકોને જમીનની માંગ કરી
રાજ્યમાં જમીન સુધારણા નીતિ, વન અધિકાર કાયદો અને મહેસુલ કાયદાની જોગવાઇ હોવા છતાં તેની યોગ્ય અમલવારી ન થવાના કારણે દલિત, આદિવાસી તેમજ અન્ય પછાત વર્ગોના કુંટુંબોનો ખેડવા લાયક જમીન આજદિન સુધી મળી શકી નથી. રાજ્ય સરકાર પાસે વર્તમાનમાં 19.84 લાખ હેક્ટર ખેડવા લાયક જમીન પડતર છે. જ્યારે, 25.99 લાખ હેક્ટર બીન ખેતીલાયક જમીન પડતર પડી છે. ત્યારે, સરકાર ખાનગી કોર્પોરેટ ગૃહોને વિવિધ પ્રોજેક્ટો માટે જમીન ફાળવી રહી છે. પરંતું, જમીન વિહોણા ખેડૂતો કે ખેતમજૂરો પ્રત્યે સરકાર બેપરવાહ જોવા મળી રહી છે.
90 લાખથી વધુ પરિવારોએ કરી જમીનની માંગ
રાજ્ય સરકાર પાસે જમીન વિહોણા 90 લાખથી વધુ પરિવારોએ પડતર અને ટોચ મર્યાદાની જમીનો માટે દાવા અરજી કરી છે. આ ઉપરાંત 25 હજારથી વધુ અરજીઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘરથાળના પ્લોટ માટે કરવામાં આવી છે. પરંતું, સરકાર આ જમીનની માંગણી ઉકેલવા કોઇ ગંભીર નથી.
ગાંધીનગરમાં સંવિધાન દિને કરી રેલી
રાજ્યના તમામ તાલુકા અને જિલ્લાઓમાંથી દલિત અને આદિવાસીઓએ બંધારણ દિવસના રોજ જમીન તો જોઇશે જ ના નારા સાથે વિશાળ સંમેલન કરીને રાજ્યમાં ભાજપ સરકાર અને સરકારની દલિત-આદિવાસી નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. સરકારને જમીન સુધારણા કાયદા અને વિવિધ જોગવાઇઓ મુજબ સરકારી પડતર અને ટોચ મર્યાદાની જમીન સાથણી કરીને દાવેદારોને આપવા માંગ કરી હતી. આ પ્રસંગે જમીન અધિકાર ઝૂંબેશ રેલીના આયોજક જયંતિ માંકડિયાએ આગામી દિવસોમાં વધુ આકરા અવાજ સાથે અવાજ બુલંદ કરીને સરકારને જમીન આપવા મજબૂર કરવા પણ જણાવ્યું હતું.
સંમેલનમાં 15 હજાર લોકો રહ્યા હાજર
આ જમીન અધિકાર સંમેલનમાં રાજ્યભરમાંથી 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યનો આદિવાસી સમાજ જે વર્ષોથી રાજકીય હલચલથી અળગો રહેતો સમાજ હવે પોતાની માંગણી સાથે મેદાનમાં આવતાં રાજકીય ચળવળ વેગ મળવાની પુરી શક્યતા છે. તો બીજી તરફ આદિવાસી અને દલિત સમાજ એકસંપથી પોતાની માંગણી સાથે મેદાનમાં આવતાં રાજ્યમાં નવા રાજકીય સમીકરણની શક્યતા નકારી શકાતી નથી.
13 જેટલા મુદ્દાઓની કરી માંગ
આ જમીન અધિકાર ઝૂંબેશ દ્વારા રાજ્ય સરકાર પાસે રૂબરુ મળીને તેમજ આવેદનપત્ર દ્વારા તેમની 13 જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં, દલિત અને આદિવાસી તેમજ પછાત અને વંચિત સમુદાયને જમીન ફાળવવાની અને તેમને જમીનના વાસ્તવિક હક્કો સોપવાની માંગ કરી છે. સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહીને પોતાના હક્કની લડાઇમાં સામેલ થઇ સરકાર સામે અહાલેક જગાવી હતી.
હાથમાં પૂજાનું ફૂલ લઈને છેવટે રાહુલે કેમ કહ્યુ કે ‘હું છુ કૌલ બ્રાહ્મણ'?