રાજદ્રોહ કેસ પર જામીન, સુરતથી આજે હાર્દિક આવશે અમદાવાદ
રાજદ્રોહના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ તેવા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં હાર્દિક પટેલની રાજદ્રોહ કેસની જામીન અરજી પર ચુકાદો આપવામાં આવશે તેવી શક્યતા છે. વધુમાં હાર્દિક સાથે આજે આ કેસમાં અટવાયેલા તેના સાથીદારો કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા પણ હાજર રહેશે.
અમદાવાદની સેશન્સ કોર્ટમાં આજે રાજદ્રોહના કેસમાં હાર્દિકની જામીન અરજી પર ચર્ચા થશે. સાથે જ હાર્દિકના વકીલ દ્વારા 6 મહિના ગુજરાત બહાર રહેવાના શરતી જામીન મામલે પણ કોર્ટમાં ચર્ચા થશે. નોંધનીય છે કે હાર્દિક પટેલના વકીલે આ અંગે એફિડેવિટ કોર્ટમાં મૂકી ચૂક્યા છે.
ત્યારે આજે હાર્દિક પટેલની જામીન પર મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે છે. નોંધનીય છે કે આ કેસમાં જોડાયેલા કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા જામીન મળી ચુક્યા છે પણ હાર્દિકની જામીન આ પહેલા સ્થાનિક કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારે હાર્દિકને જામીન મળશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.