ગાંધીનગરમાં સાતમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી શરૂ
ગાંધીનગર, 23 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2014માં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉભરીને ભાજપને દેશમાં સત્તા અપાવવા માટેની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. બીજી તરફ ગુજરાતમાં તેમના મંત્રીમડળના મંત્રીઓએ વર્ષ 2015માં આવી રહેલી સાતમી વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાત રાજયની સાતમી વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટ 2015નું આયોજન 11 થી 13 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિરમાં યોજાનાર છે. સાતમી વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વના અગ્રણી દેશોમાંથી રોકાણકારો આવશે. નરેન્દ્ર મોદીના શાસનમાં દર બે વર્ષે થતી વાઇબ્રન્ટ સમિટ અગાઉ 6 વખત થઇ ચૂકી છે.

હવે સાતમી વાઇબ્રન્ટ સમિટની તૈયારી માટે ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી છે. વર્ષ 2015ની વાઇબ્રન્ટ સમિટ માટે કેન્દ્રીય કમિટી, વહીવટી કમિટી અને સલાહકાર કમિટી બનાવવામાં આવી છે. આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગે હોર્ડિંગ્ઝ, પોસ્ટર દ્વારા પ્રચાર આરંભી દીધો છે.
ખાણ ખનીજ મંત્રીના વડપણમાં કોર સમિતિમાં મુખ્ય સચિવ, ઉદ્યોગ વિભાગના સચિવ, બંદર અને વાહન વ્યવહાર વિભાગના સચિવ, શહેરી વિકાસ અને ઉર્જા વિભાગના સચિવનો સમાવેશ થાય છે. વહીવટી સમિતિના વડા તરીકે ઉદ્યોગ ખાણ વિભાગના અગ્રસચિવ રહેશે. સલાહકાર સમિતિમાં અધ્યક્ષપદે ખાણ ખનીજ મંત્રી રહેશે.
સલાહકાર સમિતીમાં કેડીલા કંપનીના રાજીવ મોદી, પિયોમા ઇન્ડસ્ટ્રીઝના ફીરોઝ ખંભાતા, સિન્ટેક્ષના એમડી એસ બી ડાંગાયચ, જયુબિલન્ટના અજય ખન્ના, જાડયસના સલાહકાર સુનિલ પરિખ, તથા ટેકનોલોજી અને લૉ યુનિવર્સિટીના કુલપતિને સ્થાન અપાયું છે. આ સમિતિ ઉદ્યોગ જગતના અગ્રણીઓને સમિટ સાથે જોડવાનું કામ કરશે.












Click it and Unblock the Notifications
