ગુજરાતમાં બાળકો, કિશોરીઓ, માતાઓના પોષણસ્તરમાં નોંધાપાત્ર સુધારો થયોઃ જીતુભાઈ વાઘાણી
ગુજરાતમાં બાળકો, કિશોરીઓ, માતાઓના પોષણસ્તરમાં નોંધાપાત્ર સુધારો થયોઃ જીતુભાઈ વાઘાણી
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં કુપોષણને નાથવામાં મળેલી સિદ્ધિઓ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા "સહી પોષણ, દેશ રોશન"ના સંક્લ્પને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મંત્રને ચરિતાર્થ કરવા માટે ચાલુ વર્ષે બજેટમાં માતબર રકમની જોગવાઈ કરીને બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં સુધાર લાવવા યુદ્ધના ધોરણે પ્રયત્નો હાથ ધર્યા છે. આ માટે સરકારે ચાલુ વર્ષે રૂ. ૯૨૯ કરોડની વિશેષ જોગવાઈ માત્ર પોષણની યોજનાઓ માટે કરી છે.
મંત્રીએ પોષણસુધારની આંકડાસભર માહિતી આપતાં કહ્યું હતું કે, બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્તરની ચકાસણી માટે ભારત સરકાર દર પાંચ વર્ષે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) કરાવવામાં આવે છે. ૨૦૧૯-૨૦માં થયેલા પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં કુલ ૩૯.૭ ટકા ઓછા વજનવાળા બાળકો અને ૧૦.૬ ટકા SAM બાળકો જ્યારે ૩૯ ટકા બાળકો સ્ટંટેડ (ઠીંગણા) હોવાનું નોંધાયું હતું.
આઇસીડીએસ યોજના હેઠળ બાળકોના વજન અને ઊચાઇની તમામ વિગત આંગણવાડી કાર્યકર દ્વારા 'પોષણ ટ્રેકર' એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે. પોષણ ટ્રેકરના ડેટા મુજબ જુલાઇ-૨૦૨૨ની સ્થિતિએ રાજ્યમાં કુલ ૨૩.૩૬ ટકા ઓછાવજનવાળા બાળકો અને ૩.૧૨ ટકા SAM બાળકો છે. આમ, પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણના સાપેક્ષમાં પોષણ ટ્રેકર મુજબ આજની સ્થિતિએ કુલ ૧૬.૩૪ ટકા ઓછાવજનવાળા બાળકો તેમજ ૭.૪૮ ટકા SAM બાળકોમાં ઘટાડો થયો છે એમ મંત્રીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા કરાયેલા સઘન પ્રયત્નોની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતની ૫૩,૦૨૯ આંગણવાડીઓ/નંદઘરમાં દરરોજ ૬૦.૦૨ લાખ નોંધાયેલ લાભાર્થીઓ છે.
રાજ્યમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકાર દ્વારા આઇસીડીએસ યોજના હેઠળ ટેક હોમ રેશન (ટીએચઆર) આપવામાં આવે છે. ટેક હોમ રેશન અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો, બપોરનું ગરમ ભોજન તેમજ અઠવાડીયામાં બે વાર (સોમવાર અને ગુરુવાર) ઋતુ મુજબ ફળ આપવામાં આવે છે. આ ઉપરાંત ૩થી ૬ વર્ષના અતિઓછા વજનવાળા બાળકોને બાલશક્તિ યોજના હેઠળ તેમજ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતા જે તંદુરસ્ત બાળકને જન્મ આપે અને બાળક સુપોષિત રહે તે માટે દર માસે ટીએચઆર તરીકે કિશોરીને પૂર્ણાશક્તિ અને માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, રાજ્યના ૨૦ જિલ્લાના ૧૦૯ ઘટકમાં દૂધ સંજીવની યોજના તથા ૧૪ આદિજાતિ જિલ્લાના ૧૦૬ ઘટકોમાં પોષણ સુધા યોજના યોજના અંતર્ગત વિવિધ પોષણ અંગે સહાય કરવામાં આવે છે.