ગુજરાતમાં અત્યારસુધીમાં 61.30 લાખ હેકટર ખરીફ પાકોનું વાવેતર, 25.39 લાખ હેક્ટર સાથે કપાસનું સૌથી વધુ વાવેતર
સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ 110 ટકા જેટલું વાવેતર થયું છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ આકંડા મુકાયા હતા. આ આંકડાઓ વિશે માહિતી આપતા બેઠક બાદ પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે.

તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 61.20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
તેમણે આગળ જણાવ્યુ કે, છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 71.31 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયુ છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે આગળ જણાવ્યુ કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 25.39 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 23.11 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
અન્ય આંકડાઓ પર નજર કરીએ તો, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર થયુ છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 19.18 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 17.87 લાખ હેક્ટર હતું.
રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળી પાકનું પણ 15.84 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થયો છે અને હજુ પણ પાક વાવેતરના વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
