CM ભૂપેન્દ્ર પટેલના PROના પુત્રનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોત
વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતના પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ગતમોડી રાત્રીના CMના PROના પુત્ર અન્ય યુવકો સાથે કાર લઇને ભરૂચથી ગાંધીનગર જઈ રહ્યો હતો.
જે દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે નેશનલ હાઇવે પર CMના PROના પુત્રની કારને અજાણ્યા વાહને ટક્કર મારતા CMના PROના પુત્રનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અકસ્માતમાં અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
ગત મોડી રાત્રે 12:30 કલાકની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PROના પુત્ર વશિષ્ઠ ઉદયભાઇ વૈષ્ણવ સહિત 3 યુવાનો કાર લઇને ભરૂચથી નોકરી પરથી ગાંધીનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે તેઓેએ કાર હાઇવેની સાઈડ પર ઉભી રાખી હતી.
આવા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે કાર સાથે 3 યુવાનોને ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં CMના PROના પુત્ર વશિષ્ઠ ઉદયભાઇ વૈષ્ણવનું ઘટના સ્થળે જ મોત નિપજતા કરજણ પોલીસે મૃતક વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી દવાખાનામાં ખસેડ્યો હતો, જયારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેનીશોધખોળ હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કરજણ સરકારી હોસ્પિટલ ખાતે થી ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતેથી આજે સાંજે 5.30 કલાકે મૃતક વશિષ્ઠની અંતિમ યાત્રા નિકળશે અને સેકટર-30ના મુકિતધામ ખાતે તેમનો અતિમ સંસ્કાર કરવામાં આવશે અકસ્માતમાં યુવાન પુત્રને ગુમાવતા પરિવારજનો શોકમગ્ન બન્યો છે.