સફળતાની વાત : ગુજરાતના ખેડૂતે ખેતીની આવકમાંથી કાર ખરીદી
માંડવી તાલુકાના કોલખડી ગામના વતની મનહરભાઈ ગીમાભાઈ ચૌધરીને પહેલેથી જ ખેતીમાં ખૂબ રસ હતો. પોતાની પાંચ વીઘા જમીન પર પરંપરાગત આકાશી ખેતીના કારણે તેઓને બે ટંકના ભોજનના ફાંફા પડી જતાં હતા. પરંતુ ગરીબ કલ્યાણ મેળામાં કઇંક અલગ ખેતી કરવાની પ્રેરણા મળી અને એક એનજીઓના સહયોગથી 2007માં તેમણે પ્રથમ વખત ટ્રાઇબલ સબ પ્લાનમાંથી સહાય મેળવી.
તેમણે આંબાવાડી તૈયાર કરી પરંતુ તેમાં તેમને જોઇતી કોઇ સફળતા મળી નહી. આ નિષ્ફણળતાથી તેઓ બિલકુલ વિચલિત થયા વિના ફરી ટ્રાયબલ સબ પ્લાન કચેરી માંડવી ખાતે પહોંચી ગયા. જ્યાંથી તેમને ગુલાબની ખેતી અંગે માહિતી આપવામાં આવી અને તેમણે આ ખેતી કરવાનું નક્કી કર્યું.
આ અંગે મનહરભાઈ જણાવ્યું કે 2009-10માં મને ગુલાબના 2000 છોડ આપવાની સાથે તેને ઉછેરવાની, તેના વાવેતરની માર્કેટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગુલાબની ખેતી સફળ થઇ અને હું રોજના 500 જેટલા ગુલાબ ઉતારવા લાગ્યો હતો. તે છોડથી સળંગ ત્રણ વર્ષ સુધી ઉત્પાનદન પ્રાપ્ત કર્યું હતું. ત્રણ વર્ષ સુધી ખેતી કરવાના કારણે મને ગુલાબની ખેતી અંગે સંપૂર્ણ જાણકારી થઇ ગઇ હતી. તેથી મે જાતે રોપા લઇ ખેતી શરૂ કરી દીધી છે.
ગુલાબની ખેતીની સાથે મારા ભાઈના ખેતરમાં જીવિકા પ્રોજેક્ટ અંતર્ગત કેળા પાક માટેની તાલીમ અપાઇ હતી. તેની પાસેથી માહિતી મેળવી મેં પણ કેળાની ખેતી શરૂ કરી દીધી. આજે ખેતીના પૈસાના સહારે જ મેં પોતાનું ઘર બનાવ્યું છે. પોતાની કાર લીધી છે અને ત્રણ છોકરીઓ એમ.એ., બીએડ કરાવી તેમના લગ્ન પણ કર્યા છે. મારા છોકરાને પણ પીટીસી કરાવડાવ્યું છે.
આદિજાતિ ખેડૂતોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વાર અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિજાતિ ખેડૂતોને જીવીકા પ્રોજેક્ટ હેઠળ શાખભાજી, ફળની ખેતી, કપાસ અને કઠોળના પાકો માટે સહાય આપવામાં આવે છે. સાથે ભીંડા, પરવર જેવા રોકડિયા શાકભાજી માટે મંડપની સહાય આપવાની સાથે તાલીમ પણ આપવામાં આવે છે. રાજ્ય સરકારની સહાયથી જ ખરેખર આજે મનહરભાઈના ઘરની ચારે બાજુ ગુલાબની સુગંધ પ્રસરી છે. તેવી જ રીતે તેમનું જીવન પણ ગુલાબની જેમ ખીલી ઉઠયું છે.