બિલકિસ બાનોની બળાત્કારીઓની મુક્તિ પર પુનર્વિચાર કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે આજે બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલ પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.
Bilkis Bano supreme court: બિલકિસ બાનો દ્વારા દોષિતોને મુક્તિ પર દાખલ કરવામાં આવેલ પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા શનિવારે ફગાવી દેવામાં આવી છે. બિલકિસ બાનોએ આ અરજીમાં 2002માં તેની સાથે સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા માટે દોષિત પુરવાર થયેલા 11 લોકોની વહેલી મુક્તિને પડકારી હતી.
બિલકિસ બાનોએ 2002માં તેની સાથે થયેલા ગેંગરેપમાં 11 દોષિતોની મુક્તિ પર પુનર્વિચાર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બિલકિસ બાનોએ 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારી હતી. આ ગુનામાં તમામ 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ફરીથી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
કોર્ટે ગુજરાત સરકારને મુક્તિ પર વિચાર કરવા જણાવ્યુ
તમને જણાવી દઈએ કે મે 2022માં જસ્ટીસ રસ્તોગીએ એક દોષીની અરજી પર આદેશ આપ્યો કે ગુજરાત સરકાર 1992ની મુક્તિ નીતિ હેઠળ બિલકિસ બાનો મામલે દોષિતોની મુક્તિ પર વિચાર કરી શકે છે. જો કે, બિલકિસ બાનોએ કહ્યુકે આ મામલે પૂરી ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી છે અને ત્યાંની મુક્તિ નીતિ હેઠળ આવા ઘૃણિત ગુનામાં 28 વર્ષ પહેલા મુક્તિ ના થઈ શકે.
દોષિતોને કેમ મુક્ત કરવામાં આવ્યા?
વહેલી મુક્તિને પડકારતી અરજીઓના જવાબમાં ગુજરાત સરકારે એક એફિડેવિટ દાખલ કરીને SCને માહિતી આપી હતી કે 11 દોષિતોને તેમના સારા વર્તન અને કેન્દ્ર સરકારની મંજૂરી માટે 14 વર્ષની જેલ પૂરી કર્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા.
બિલકિસ બાનો સાથે શું બન્યુ હતુ?
ગુજરાતમાં વર્ષ 200માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોમાંથી નાસી છૂટતી વખતે 21 વર્ષની બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. આરોપ છે કે તે દરમિયાન તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. માર્યા ગયેલા પરિવારના સાત સભ્યોમાં તેની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.