સુરત અગ્નિકાંડ: આખી બિલ્ડિંગમાં ગેરકાયદેસર વિદ્યુત જોડાણ હતું
ગુજરાતમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશીલા બિલ્ડિંગના અગ્નિકાંડ પછી તપાસમાં નવો ખુલાસો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશીલા બિલ્ડિંગના અગ્નિકાંડ પછી તપાસમાં નવો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, આખી બિલ્ડિંગનું પાવર કનેક્શન ગેરકાયદેસર હતું. ડીજીવીસીએલના નાયબ એન્જિનિયર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના પાર્ટનર રવિન્દ્ર કહાર, સુરત કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી ડી મુનશી, અને જયેશ સોલંકી સહીત ડીજીવીસીએલના નાયબ એન્જીનીયર દીપક નાયકની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરત અગ્નિકાંડની રિપોર્ટ સામે આવી, જાણો કેવી રીતે લાગી આગ
લોકોની બેજવાબદાર હરકતોને લીધે આ દુર્ઘટના થઇ
પોલીસના જણાવ્યા મુજબ, આ લોકોની બેજવાબદાર હરકતોને લીધે આ દુર્ઘટના થઇ. કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી ડી મુનશી સમગ્ર વિસ્તારના હવાલો સંભાળતા હતા અને બિલ્ડિંગની ઉપરના ભાગને રેગ્યુલરાઇઝ કરવાની જવાબદારી તેમની હતી, પરંતુ તેમણે બિલ્ડિંગ પર ગયા વગર જ મંજૂરી આપી દીધી હતી. આ કાર્યમાં, જયેશ સોલંકીએ તેમનો સાથ આપ્યો હતો. ડીજીવીસીએલના નાયબ એન્જીનીયર દીપક નાયક સમગ્ર બિલ્ડિંગના પાવર કનેક્શન ગેરકાયદેસર હોવા પાછળ જવાબદાર હતા. ઇલેક્ટ્રિકલ કનેક્શનના જોડાણની ફાઈલ અનુસાર, અહીં કોઈ એસી ન હતા. પરંતુ વાસ્તવમાં, અહીં 25 થી વધુ એસી લગાડવામાં આવ્યા હતા. જેમાંથી એક આગ માટેનું મુખ્ય કારણ બની ગયું હતું.
ટ્રાન્સફોર્મર પણ ખૂબ ખરાબ સ્થિતિમાં હતા
બિલ્ડિંગની નજીકમાં લગાવવામાં આવેલા ટ્રાન્સફોર્મર પણ ખૂબ ખરાબ સ્થિતિમાં હતા અને આવી ભયંકર આગ લાગ્યા પછી પણ, લાંબા સમય સુધી પાવર કટ કરવામાં ન આવ્યો હતો. આ તમામ વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને, પોલીસે ચારની ધરપકડ કરી અને પોલીસ આગળ વધુ તપાસમાં લાગેલી છે. જણાવી દઈએ કે, બિલ્ડિંગની ફાયર સેફ્ટી તપાસમાં લાપરવાહી કરનારા બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, મહાનગર પાલિકાના બે એન્જીનીયરોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી.
કોચિંગ ક્લાસીસમાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોચિંગ ક્લાસીસમાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ જવાબદાર અધિકારી કિર્તી મોઢ અને એસ.કે.આચાર્યએ કોઈ તપાસ કરી ન હતી કે કોઈ નોટિસ જારી કરી નહોતી. આ બેદરકારીના કારણે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી. તક્ષશિલા બિલ્ડિંગની મંજૂરીના સમયે, કેતન પટેલ શહેરી વિકાસ નિગમના અધ્યક્ષ હતા અને એન.વી.ઉપાધ્યાય ફાયર ડિપાર્ટમેન્ટના હેડ હતા.