સુરત: મેડિકલ ટેસ્ટમાં શાંતિસાગરે 6 કલાક કરી આનાકાની
બળાત્કારના આરોપી જૈન મુનિ શાંતિસાગર મહારાજે મેડિકલ ટેસ્ટ માટે પૂરતો સહકાર નહોતો આપ્યો.
મધ્ય પ્રદેશની યુવતી સાથે બળાત્કાર કરવાના આરોપમાં લાજપોર જેલમાં બંધ જૈન મુનિ આચાર્ય શાંતિસાગર મહારાજ અંગે આ મામલે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. આરોપી આચાર્ય મેડિકલ ટેસ્ટમાં સહકાર ન આપતા હોવાને કારણે અનેક પ્રશ્નો થઇ રહ્યાં છે. શાંતિસાગરની મહારાજની ધરપકડ બાદ તેમને તુરંતુ મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ટેસ્ટમાં સહકાર ન આપ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ બુધવારે ફરી એકવાર તેમને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 6 કલાક આનાકાની કરી હતી.
શાંતિસાગર મહારાજને ડીએનએ, પોટેન્સી અને સીમોન ટેસ્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ટેસ્ટના સેમ્પલ માટે શાંતિસાગર મહારાજે આનાકાની કરતાં 6 કલાકમાં 8 વાર સેમ્પલ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, આમ છતાં નિષ્ફળતા હાથ લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે. બળાત્કારના મામલે આ મેડિકલ ટેસ્ટની રિપોર્ટ પુરાવાનું કામ કરે છે, ત્યારે ટેસ્ટ માટે જરૂરી સેમ્પલ ન મળવાને કારણે કેસ લંબાઇ રહ્યો છે. વળી, આ મામલે પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી, આ કારણે પણ પ્રશ્નો થઇ રહ્યાં છે.
શું છે મામલો?
મૂળ મધ્ય પ્રદેશની અને વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ જૈન મુનિ શાંતિસાગર મહારાજ પર આરોપ મુક્યો છે કે, તેમણે પૂજા વિધિ અને જાપના બહાને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ગત શનિવારે આરોપી શાંતિસાગર મહારાજની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને રાત્રે જ જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી ન થતાં સીધા આરોપીને જેલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવતીએ જણાવ્યું હતું કે, પૂજા-વિધિના નામે આચાર્યએ તેની આપત્તિજનક તસવીરો પણ મંગાવી હતી.