દ્વારકામાં ક્યાં ભગવાન છે દર્શન કરવા હોય તો.....સ્વામિનારાયણ સંપ્રદાયે ફરીથી સનાતન ધર્મનું ક્યુ અપમાન
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં લખાયેલા વિવાદાસ્પદ લખાણે ફરી એકવાર સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ ફેલાવ્યો છે. આ વખતે પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, "દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ."
આ નિવેદનથી ખાસ કરીને માલધારી સમાજ અને સનાતન ધર્મના સમર્થકોમાં આક્રોશ વધ્યો છે, જેમણે આને ભગવાન દ્વારકાધીશનું અપમાન ગણાવ્યું છે. આ મુદ્દે ગુજરાતમાં હાલ તીવ્ર ચર્ચા અને વિરોધનું વાતાવરણ ઊભું થયું છે.
વિવાદનું મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તક "શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો"માં છે. આ પુસ્તકની વાર્તા નંબર 33માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દ્વારકામાં ભગવાન નથી અને સાચા દર્શન માટે વડતાલ જવું જોઈએ. દ્વારકા, જે ભગવાન કૃષ્ણનું પવિત્ર તીર્થસ્થાન અને સનાતન ધર્મનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે, તેના વિશે આવું લખાણ સામે આવતાં હિન્દુ સમાજના અનેક વર્ગોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

આ પહેલાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જલારામ બાપા, મહાદેવ અને હનુમાનજી જેવા સનાતન ધર્મના આરાધ્ય દેવો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ સામે આવી ચૂકી છે, જેના કારણે સંપ્રદાય અને સનાતનીઓ વચ્ચે તણાવ વધ્યો હતો. આ નવો વિવાદ તેની શ્રેણીમાં એક નવું પગલું માનવામાં આવી રહ્યું છે.
માલધારી સમાજે આ લખાણને ભગવાન દ્વારકાધીશનું સીધું અપમાન ગણાવ્યું છે. સમાજના આગેવાનોએ આક્ષેપ લગાવ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સતત સનાતન ધર્મની માન્યતાઓને નીચી બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તેઓએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સ્પષ્ટતા કે માફી નહીં મળે તો તેઓ આગળનું આંદોલન તેજ કરશે. રાજકોટમાં આ મુદ્દે સંતો અને ધાર્મિક આગેવાનોની બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.
સનાતન ધર્મના સમર્થકો અને સંતોનું કહેવું છે કે દ્વારકા એ ભગવાન કૃષ્ણનું પોતાનું નગર છે, જેનો ઉલ્લેખ મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં છે. તેને નકારવું એ સનાતન ધર્મની મૂળ ભાવનાનું અપમાન છે.
અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રમુખ નૌતમ સ્વામીએ અગાઉ આવા વિવાદો પર કહ્યું હતું કે, "સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં કોઈ દેવી-દેવતાનું અપમાન ગ્રાહ્ય નથી." આ વખતે પણ સંતો આ મુદ્દે એકજૂટ થઈ રહ્યા છે.
સામાજિક મીડિયા પર પણ આ મુદ્દો ગાજી રહ્યો છે. ઘણા યુઝર્સે આ લખાણને "ધર્મ વિરોધી" ગણાવ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય પર સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ, સંપ્રદાયના કેટલાક સમર્થકો દલીલ કરી રહ્યા છે કે આ લખાણનો ખોટો અર્થ લેવામાં આવી રહ્યો છે અને તેનો હેતુ દ્વારકાને નકારવાનો નથી, પરંતુ વડતાલના મહત્વને ઉજાગર કરવાનો છે.












Click it and Unblock the Notifications
