ગુજરાત ચૂંટણી: નેનો પ્રોજેક્ટ મામલે રાહુલના પ્રહાર પર ટાટાનો જવાબ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેકવાર પીએમ મોદી અને ભાજપ પર ટાટાને આપેલી ગ્રાન્ટના નાણા બાબતે તીખા પ્રહારો કર્યા હતા. તો ટાટા કંપની એ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેકવાર પીએમ મોદી અને ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકારે રાજ્યના ખેડૂતોની જમીન, પાણી અને સરકાર તરફથી 3500 કરોડ રૂપિયા નેનો યોજનાને આપ્યા હતા, જેનો કોઇ ફાયદો જનતાને થયો નથી. તેમણે પોતાની વિવિધ સભાઓમાં અનેકવાર આ વાત કહી છે. આ મામલે હવે ટાટા મોટર્સ કંપનીએ આગળ આવી રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. ટાટા મોટર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, અમને માત્ર 584.8 કરોડ રૂપિયા મળ્યા છે અને તે પણ લોન તરીકે, ગ્રાન્ટ તરીકે નહીં.
ટાટા મોટર્સનું નિવેદન
ટાટા મોટર્સ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાત સરકારે જે રીતે રોકાણ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું, એ રીતે જોતાં જ અમે સાણંદમાં ઉત્પાદન એકમ તૈયાર કર્યું હતું, અમારું લક્ષ્ય હતું કે અમે યોજના લાંબા ગાળા સુધી ચલાવીશું અને તેને એક મોટા મેન્યુફ્રેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરીશું. જેનાથી રાજ્યની આર્થિક સ્થિતિ હજુ વધારે સુધરે અને આ દેશ માટે એક મોટો પ્રોજેક્ટ સાબિત થાય.
લોનની ચૂકવણી કરવામાં આવશે
ટાટા મોટર્સે આગળ કહ્યું છે કે, અમે કુલ 584.8 કરોડ રૂપિયા લોન તરીકે રાજ્ય સરકાર પાસેથી લીધા હતા અને તેની ચૂકવણી કરવામાં આવશે. આ યોજનાની વિશાળતા અને ક્ષમતાને જોતાં ગુજરાત સરકારે ટાટા મોટર્સને આ પેકેજ લોન તરીકે આપ્યું હતું તથા રાજ્ય સરકાર સાથે કરવામાં આવેલ કરાર હેઠળ તેની ચૂકવણી કરવામાં આવશે. ટાટા મોટર્સને જે લોન આપવામાં આવી છે, એ કંપની તરફથી ભરવામાં આવેલ ટેક્સમાંથી આપવામાં આવી છે. ટાટા મોટર્સનો દાવો છે કે, સાણંદ પ્રોજેક્ટને કારણે ખૂબ રોજગાર ઊભો થયો છે અને ઑટો સેક્ટરમાં લોકોને નોકરી આપવામાં દેશમાં ગુજરાત સૌથી આગળ છે.
મનરેગા અને ટાટા નેનો પ્રોજેક્ટ
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને તેમની નીતિઓ પર હુમલો કરતા અનેકવાર કહ્યું છે કે, 'પીએમ મોદીએ ખેડૂતોની જમીન, પાણી, વીજળી અને 3500 કરોડ રૂપિયા નેનો પ્રોજેક્ટને આપ્યા. એ પૈસા નરેન્દ્ર મોદીજીના નહીં, પરંતુ જનતાના હતા. 3500 કરોડ રૂપિયા બહુ મોટી રકમ છે. યુપીએ સરકાર સમયે અમે આટલા જ રૂપિયા, 3300 કરોડ મનરેગાને આપ્યા હતા અને એમાંથી દેશના લાખો લોકોને રોજગાર પૂરો પાડ્યો હતો.'