CMએ જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં તારીખ 10 ઓગસ્ટ-2022 ની સ્થિતીએ 63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્યમ ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા તેમજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે.
રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત 207 જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી 25,266 MCM સામે 17,395 MCM એટલે કે 69 ટકા પાણી જળાશયોમાં છે. ગત વર્ષ તારીખ 10 ઓગસ્ટની તુલાનાએ 21 ટકા વધારો થયો છે.
ગત 13 વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં વધારો થયો છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે અને વરસાદી પાણી વહી જાય છે, ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે, તેવાં 68 જળાશયોમાં ઓગસ્ટ-2023 સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે.
રાજ્યમાં 69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે. જેમાં 12 જળાશયો 80 થી 90 ટકા ભરાઇ ગયા છે. કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના જળાશયો 70 ટકા ભરાઇ ગયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તારીખ 10 ઓગસ્ટ-2022 સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું.
રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-207 જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા 25,266 MCM છે, તેની સામે અત્યાર સુધીમાં 17,395 MCM પાણી જળાશયોમાં આવ્યું છે. એટલે કે 69 ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે, તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તારીખ 10 ઓગસ્ટ કરતાં 21 ટકા વધારે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમ્યાન એવા દિશાનિર્દેશ આપ્યા હતા કે, જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે, ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળસંચય કરી શકાય છે.
તેમણે એવી પણ સૂચના આપી હતી કે, હાલ જ્યાં વરસાદ પડેલો છે, ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાવા જરૂરી છે.
આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70 ટકા પાણી છે.
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં તારીખ 10 ઓગસ્ટ-2022 ની સ્થિતીએ 63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્યમ ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા તેમજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે.
મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલા વિવરણમાં સિંચાઇ-જળસંપત્તિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે 206 જળાશયો છે, તેમાંથી 100 ટકા ભરાઇ ગયા હોય તેવા 69, 80 થી 90 ટકા ભરાઇ ગયા હોય તેવા 12, 70 થી 80 ટકા સુધીના 10 તેમજ 50 થી 70 ટકા સુધીના 35 અને 50 ટકા સુધીના 41 જળાશયોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે, તે પૈકીના 62 જળાશયોમાં આગામી ઓગસ્ટ-2023 સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે .
મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા આ બેઠક દરમિયાન હાથ ધરી હતી. વરસાદની સ્થિતિની સમીક્ષા સંદર્ભમાં જણાવાયું કે, રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ તારીખ 10 ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહીં, રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં 125 મીમી કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સરદાર સરોવર નિગમના એમડી જે. પી. ગુપ્તા તેમજ જળસંપત્તિ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિક સચિવો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.