બનાસકાંઠામાં હડકંપ મચાવનાર હિંસક રીંછ ઠાર મરાયું
વનવિભાગના કર્મચારીઓ દ્વારા ત્રણ ગોળીઓ ધરબી દઈ રીંછને ઠાર કરવામાં આવ્યું
દાંતા તાલુકાના ખાપરા ગામના જંગલમાં વન કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હિંસક રીંછને આખરે બુધવાર ઠાર મરવામાં આવ્યું હતું. વનવિભાગના કર્મચારીઓ દ્વારા ત્રણ ગોળીઓ ધરબી દઈ રીંછને ઠાર કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસથી આ હિંસક પ્રાણીને પકડવા મથતાં કર્મચારીઓને વનતંત્ર દ્વારા આખરે રીંછને બંદુકની ગોળીથી ઠાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હિંસક રીંછને પકડી પાડવા અને ન પકડાય તો ભડાકે દેવા વન વિભાગની ત્રણ ટીમો ખાપરાના જંગલો ખુંદી વળી હતી. વનવિભાગના શાર્પશૂટરો દ્વારા આશરે ત્રણ જેટલી ગોળીઓ ધરબી દઈને રીંછને મારી નાંખવામાં આવ્યું હતું.
વિસ્તારમાં રાયફલો સાથે વનવિભાગના કર્મીઓ પણ ગોઠવાયા હતા. રીંછને ઝબ્બે કરવા, તેની હિલચાલને જોવા માટે સવારે બે થી ત્રણ ટ્રેપીંગ કેમેરા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ટ્રેપીંગ કેમેરા કાંસા ડુંગર ઉપરથી ખાપરા જવાના માર્ગમાં, જ્યાં રીંછે હૂમલો કર્યો હતો, ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. આ રીંછ તેના બચ્ચા સાથે છે કે એકથી વધુ સંખ્યામાં છે, તેનો તાગ મેળવ્યા બાદ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું હતું. તમામ બંદોબસ્ત થયા બાદ ગાંધીનગરથી આવનારી રેસ્ક્યુ ટીમ દ્વારા આ ઓપરેશન પાર પડાયું હતું.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના દાંતા પાસેના જંગલમાં રવિવારે અને સોમવારે રીંછે કરેલા હુમલામાં બે વ્યક્તિવનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ગઈ કાલે રીંછને પકડવા માટે વન-વિભાગના કર્મચારીઓ દાંતાના ખાપરા ગામ પાસેના જંગલમાં ગયા હતા, જ્યાં રીંછે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જો કે રીંછ હુમલો કરીને નાસી ગયું હતું.
કર્મચારીઓ રીંછ જતું રહ્યું હોવાનું માની રહ્યા હતા, ત્યાં રીંછે ફરી હુમલો કરતાં ફૉરેસ્ટર એન. એચ. પટણી ગંભીર રીતે ઘવાયા હતા અને થોડી વારમાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘાયલ લોકોને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.