કચ્છ મ્યુઝિયમમાં છે ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો, જાણો સમગ્ર ઇતિહાસ
કચ્છ મ્યુઝિયમ ખાતે પ્રદર્શન અર્થે મૂકવામાં આવેલા શિલાલેખો ક્ષત્રપ રાજવંશના સમયના લેખ છે, જે ઇસ 35 થી ઇસ 405 વચ્ચે લખવામાં આવ્યા છે.
કચ્છ મ્યુઝિયમ ખાતે પ્રદર્શન અર્થે મૂકવામાં આવેલા શિલાલેખો ક્ષત્રપ રાજવંશના સમયના લેખ છે, જે ઇસ 35 થી ઇસ 405 વચ્ચે લખવામાં આવ્યા છે. કચ્છ મ્યુઝિયમમાં ક્ષત્રપ રાજવંશના કુલ 11 શિલાલેખ રાખવામાં આવ્યા છે, જે ભારતના કોઈપણ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા શિલાલેખ સૌથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન મહારાષ્ટ્ર, રાજસ્થાન ગુજરાત તેમજ મધ્યપ્રદેશ સુધી વિસ્તરાયેલું હતું. આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળી આવ્યા હતા.
કચ્છમાં ઈસની પ્રથમ સદીના અંતમાં કુષાણ સત્તાનું પતન થતાં ક્ષહરાત વંશના શક શાસકોના રાજ્યનો ઉદય થયો હતો, પરંતુ ક્ષહરાત શકોનો ઝડપથી અંત આવ્યો અને જે બાદ કર્દમક વંશમાં શકો સંપૂર્ણ કચ્છ સહિત ગુજરાત અને માળવાના અધિપતિ થયા હતા. રસમોતિક અથવા ઘસ્મોતિક આ વંશનો સ્થાપક હતો, પરંતુ તે કદાચ કુષાણોનું ખંડીયું સામંત હતો. તેનો પુત્ર ચષ્ટન સ્વતંત્ર શાસક હોય તેવું જાણવા મળે છે. તેમણે પોતાના રાજ્યની સ્થાપના કરવાની સાથે પોતાની સ્મૃતિ કાયમ રાખવા માટે શક સંવત પણ ચાલુ કર્યું હતું, જે આજે આપણું રાષ્ટ્રીય સંવત પણ છે.
સૌભાગ્યવશ આ કર્દમક શકો કે જેમને ઈરાની પદી સેન્ટ્રેપીનાં સંસ્કૃત સ્વરૂપે 'ક્ષત્રપ'ના નામે ઓળખવામાં આવે છે. કચ્છમાં જ સૌથી વધુ તેમના શિલાલેખો મળી આવ્યા છે. આ શિલાલેખોનું મહત્વ એના પરથી આંકી શકાય છે કે, આ શિલાલેખો ઈતિહાસની ખૂટતી કડી પુરવાર થયા છે. આ સાથે આ શિલાલેખોએ આપણા દેશના ઈતિહાસમાં પણ નવા અધ્યાયો જોડ્યા છે.
સૌપ્રથમ સંગ્રહાલયમાં ખાવડા નજીકના અંધૌ ટેકરામાંથી ચાર શિલાલેખો પ્રાપ્ત થયા
સંગ્રહાલયમાંના ક્ષત્રપ શૈલ લેખો સમયાંદર કચ્છના વિવિધ વિસ્તારોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે. સૌપ્રથમ સંગ્રહાલયમાં ખાવડા નજીકના અંધૌ ટેકરામાંથી ચાર શિલાલેખો પ્રાપ્ત થયા હતા, જે સંગ્રહાલયના રેકોર્ડ મુજબ 1998માં મળ્યા હતાં અને જે બાદ અન્ય છ લેખો મળ્યા હતાં.
આ દસ શિલાલેખો ક્ષત્રપ શાસકોનો ઉલ્લેખ છે અને દરેકમાં જે તે શૈલ લેખનાં ઉત્કીર્ણનની તિથિ પણ દર્શાવે છે. આમ તો દરેક લેખ અમુક પ્રકારની લષ્ટિઓ કે જે મૃત વ્યકિતની યાદમાં મૂકવામાં આવેલી પ્રસ્તર શિલા છે.
અંધૌના ચાર શિલાલેખો શક સંવત 52 વિક્રમ સવંત 130 ના મૃત્યુ લેખ પણ છે
ક્ષત્રપ વંશના સૌથી જૂના લેખમાં મધુકાનસનું નામ છે, જે અંધૌ શક સવંત 11 ઈસ 89 નું છે. રાજાનું નામ વંચાઇ રહ્યું નથી પણ તે યશ મૌતિકનો વંશજ હોવાનું વંચાય છે, તેથી આ ચષ્ટન રાજા હોય શકે છે. અંધૌના ચાર શિલાલેખો શક સંવત 52 વિક્રમ સવંત 130 ના મૃત્યુ લેખ પણ છે.
જેમાં સિંહીલ પુત્ર મદને યશદતાની સ્મૃતિમાં કરાવેલો, ઓપસની ગોત્રના ત્રેયદશતે પુત્ર રૂષભદેવની સ્મૃતિમાં કરાવેલો, સિંહીલ પુત્ર મદને બહેન જયેષ્ટવીસની સ્મૃતિમાં કરાવેલો, સિંહીલ પુત્ર મદને ભાઈ રૂષભદેવની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતા. ચપ્ટન અને રૂદુદાસ બે રાજાઓના નામો હોવાથી આ જોડીઆ રાજાઓ હતા તેવું માનવામાં આવે છે.
10 લેખોમાંથી એક દોલતપર લેખનો પણ સમાવેશ થાય છે
આ 10 લેખોમાંથી એક દોલતપર લેખનો પણ સમાવેશ થાય છે, જે સંસ્કૃતમાં લખવામાં આવેલો છે અને શક સવંતનું નામ દર્શાવતો સૌથી જૂનો લેખ માનવામાં આવે છે.
શક સવંત 234 ના આ લેખમાં રાજાનું નામ અષ્ટપષ્ટ છે, પણ તેમાં ઈશ્વરવેવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લેખ જે ખાવડાનો છે, જેમાં જયદામન રાજાના પુત્ર રૂદ્રદામાનો વર્ષવાળો ભાગ ઉખડી ગયો છે, જેમને ક્ષેત્રપ વંશાવલી આપી છે.
વાંઢનો લેખ છે, જે શક સવંત 105 નો છે. જેમાં મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામનના પુત્ર રૂદ્રસિંહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ લેખોમાં અમુક લેખો પાલી સાથે સંસ્કૃત ભાષા પણ છે
આ તમામ લેખોનું લખાણ બ્રાહ્મી લિપિમાં છે અને આ લેખોની ભાષા પાલી છે. આ ઉપરાંત આ લેખોમાં અમુક લેખો પાલી સાથે સંસ્કૃત ભાષા પણ છે.
આ શિલાલેખોથકી ક્ષત્રપ રાજવંશ વિશે જાણવા મળે છે કે, તેમના સમયમાં પદાધિકારીઓ ક્ષત્રપ, મહાક્ષત્રપ, રાજા તેમજ સ્વામીની ઉપાધી આપવામાં આવતી હતી.
આ શિલાલેખથકી ન માત્ર એક રાજવંશ વિશે પણ ઇતિહાસ ઉપરાંત સંબંધિત સમયના સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિ વિશે પણ ઘણી માહિતી મળી રહે છે.