ગુજરાતના નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં શપથ લેવા માટે આ મંત્રીઓના નામ નક્કી
ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળના શપથગ્રહણ યોજવાના છે. મા્હિતી મુજબ આ મંત્રીઓના નામ નક્કી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળના શપથગ્રહણ યોજવાના છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગે શપથવિધિ સમારંભ યોજાશે. રાજભવનની બહાર શપથવિધિના બેનરો લગાવવામાં આવ્યા છે. ગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રીઓ શપથ લેશે. શપથ ગ્રહણના 3 કલાક પહેલા નવા મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ સવારે અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા.
માહિતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં લિંબડાના કિરીટસિંહ રાણા, ઓલપાડના મુકેશ પટેલ, રાજકોટના અરવિંદ રૈયાણી અને ગણદેવીના નરેશ પટેલના નામો નક્કી માનવામાં આવી રહ્યા છે. વળી, મળતી માહિતી મુજબ શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેવા ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.
નવા મંત્રીમંડળમાં ગુજરાતના લગભગ બધા ઝોનને આવરી લેવામાં આવ્યા છે તેમજ નામોની પસંદગીમાં જ્ઞાતિઓના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. ઝોન મુજબ સૌરાષ્ટ્રના 7, કચ્છના 1, ઉત્તર ગુજરાતના 3, અમદાવાદ-ગાંધીનગરમાં 2, મધ્ય ગુજરાતના 6 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નો રિપીટ થિયરી મુજબ ભાજપે નવુ મંત્રીમંડળ બનાવ્યુ છે જેમાં યુવા અને અનુભવી બંને ચહેરાઓ જોવા મળી રહ્યા છે.